બુધવારે સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરાઓ સંબંધિત કેસની સુનાવણી થઈ. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ આ કેસ ત્રણ ન્યાયાધીશોની બેન્ચને સોંપ્યો. આ કેસ જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચને સોંપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ ગુરુવારે આ કેસની સુનાવણી કરશે. બે ન્યાયાધીશોની બેન્ચના આદેશની સમીક્ષા કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ, ૧૧ ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દિલ્હી-એનસીઆરના તમામ રખડતા કૂતરાઓને પકડીને તાત્કાલિક આશ્રય ગૃહોમાં મોકલવામાં આવે. ઉપરાંત, એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પકડાયેલા કૂતરાઓને કોઈપણ સંજોગોમાં ફરીથી રસ્તાઓ પર છોડવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયાની અંદર દિલ્હી-એનસીઆરના તમામ રખડતા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે દિલ્હી-એનસીઆરના તમામ રખડતા કૂતરાઓને રહેણાંક વિસ્તારોમાંથી ઉપાડીને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે. કોર્ટે ચેતવણી પણ આપી હતી કે જો કોઈ સંગઠન કે વ્યક્તિ આ કામમાં અવરોધ ઊભો કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે તે જાહેર હિતમાં આ પગલું ભરી રહી છે, તેથી તેમાં કોઈ પણ પ્રકારની લાગણીઓ સામેલ ન થવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે આ વિષય પર ફક્ત કેન્દ્ર સરકારની દલીલો જ સાંભળવામાં આવશે અને અન્ય કોઈપણ પક્ષ, પ્રાણી પ્રેમીઓની અરજી પણ સાંભળવામાં આવશે નહીં.

