રવિવારે બપોરે ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પશ્ચિમ બંગાળના સિલિગુડી સહિત ઉત્તર બંગાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના ઉદલગુડી જિલ્લામાં હતું.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) ના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે 2:41 વાગ્યે ઉત્તરપૂર્વ ભારતમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપના આંચકા આસામના ગુવાહાટી સહિત ઘણા વિસ્તારોમાં અનુભવાયા હતા. ઉત્તર બંગાળના સિલિગુડીમાં પણ તે અનુભવાયો હતો. ભૂકંપના આંચકા ભૂટાન અને બાંગ્લાદેશના ઉત્તરીય ભાગો સુધી પહોંચ્યા હતા.
આસામના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપમાં કોઈ જાનમાલના નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. સ્થાનિક વહીવટીતંત્ર ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાન પર નજર રાખી રહ્યું છે.
બીજી તરફ, રવિવારે બપોરે કર્ણાટકના રાયચુર જિલ્લામાં હળવો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ બપોરે 1:44 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર રાયચુર નજીક 16.04 ઉત્તર અક્ષાંશ અને 76.63 પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. ભૂકંપની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતી.

