રાત્રે ઘરની બહાર નીકળતા ડરે છે મહેસાણા વાસીઓ; મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. શહેર વાસીઓ સતત ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. મહેસાણા શહેરને જ્યારે મહાનગરપાલિકા મળી છે ત્યારથી તો શાહવારની જાને કે માઠી દશા બેઠી છે. શહેરના ખૂણે ખૂણે રખડતા ઢોરો પોતાનો અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશોને શહેરીજનોની તકલીફો અને વેદના દેખાતી જ નથી.
મહેસાણા મહાનગરપાલિકાના આંધળા અને બહેરા બોબડા તંત્રએ જાણે કે શહેરીજનોને ભગવાન ભરોસે છોડી દીધા હોય તેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગત બે સપ્તાહમાં શહેરના રાધનપુર રોડ પર 600 થી વધુ લોકોને હવે રખડતા કુતરાઓ દિડાવો દિડાવીને બચકાં ભરી રહ્યાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે ગત બે દિવસમાં 10થી વધુ લોકોને કૂતરાંએ બચકાં ભરતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે જેના કારણે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહયા છે.પરંતુ મહેસાણા મનપામાં હોતી હૈ ચલતી હૈ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જે બાબતે મનપાના જવાબદાર અધિકારીઓ પોતાનું મોઢું ખોલવા તૈયાર નથી.
મહેસાણા મનપાની દયાથી શહેરીજનો હવે તો ભગવાન ભરોષે જીવી રહ્યાં છે. મનપા તરફથી રખડતા ઢોર પકડવા બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી અને જે કરવામાં આવે છે તે ફક્ત કાગળ પર જ કરવામાં આવતી હોવાનો શહેરીજનોએ મનપા પર આક્ષેપ કર્યો છે. રસ્તા પર રખડતી ગાયો હોય કે ઠેર ઠેર રખડતા કૂતરા હોય પણ ત્યાં મનપાના એકેય કર્મચારીઓ કે અધિકારી ડોકાતા નથી ત્યારે મનપાના અધિકારીને શરમ આવવી જોઈએ એની જગ્યાએ મનપા અધિકારીઓ જાણે કે કશુંય થયું જ નથી અને અમને ખબર નથી તેમ પોતાનો લુલો બચાવ કરવાના પેંતરા ઘડવામાં મશગુલ છે. જ્યાં શહેરના વિવિધ વિસ્તારોનાં રહીશોએ અવારનવાર મનપાને લેખિત અને મૌખિક રજુઆત કરી છે તેમ છતાં પણ મનપા દ્વારા તેનો કોઈ યોગ્ય નિકાલ આજ દિન સુધી કરવામાં નથી આવ્યો. મહેસાણા વાસીઓ હાલના તબક્કે લાચારી અનુભવી રહ્યા છે કે મનપા પાસે આ બાબતે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.
મહેસાણા શહેરની કેટલીય ખાનગી હોસ્પિટલમાં તેમજ સરકારી હોસ્પિટલમાં વિવિધ વિસ્તારમાં રખડતાં કૂતરાં કરડવાના 615 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. રખડતી ગાય, આખલા અને હવે કૂતરાં કરડવાના કેસ અતિશય હદે વધી રહ્યાં છે. હદ તો ત્યારે થઈ કે છેલ્લા બે દિવસમાં સૌથી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકાં ભર્યાની ઘટના સામે આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું મનપાની દયાથી જ ઢોર પકડ પાર્ટી જ પકડેલા ઢોરોને છોડી મૂકે છે કે પછી મનપાના અધિકારીઓને વિકાસના નામે ફક્ત પોતાના ગજવા ભરવામાં જ રસ રહ્યો છે.

