સ્પોર્ટિંગ વિકેટ બનાવવા બદલ રાહુલ દ્રવિડે ગ્રાઉન્ડ્સમેનને પુરસ્કાર આપ્યો
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ તેના નિર્ણય અને વર્તનમાં હંમેશાં અન્ય કરતાં અલગ પડી જાય છે અને સૌને પ્રભાવિત કરતાં આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ રસાકસી બાદ ડ્રોમાં પરિણમી હતી. જેમાં ગ્રીનપાર્ક ખાતે રમાયેલી ટેસ્ટ માટે સ્પોર્ટિંગ વિકેટ બનાવવા બદલ રાહુલ દ્રવિડે ગ્રાઉન્ડ્સમેન શિવકુમાર અને તેમની ટીમનો આભાર માન્યો હતો અને સાથે રૂ.35 હજારનો પુરસ્કાર આપ્યો હતો. મેચના પાંચમા દિવસે ભારતીય સ્પિનર્સ હાવી થઈ રહ્યા હતા ત્યારે પ્રવાસી ન્યૂઝીલેન્ડે મક્કમ પ્રતિકાર કર્યો હતો અને ખાસ કરીને ભારતમાં જન્મેલા બે ક્રિકેટર ઐજાઝ પટેલ અને રચિન રવીન્દ્રએ મળીને ભારતને વિજયથી વંચિત રાખ્યું હતું. રાહુલ દ્રવિડ મેચ બાદ ગ્રાઉન્ડસ્ટાફની કદર કરતો આવ્યો છે. આટલા વર્ષ બાદ તે કોચ બન્યો છે ત્યારે પણ તેના આ પ્રકારના વર્તનમાં ફરક પડ્યો નથી અને તે હંમેશાં નવોદિત ખેલાડી કે ગ્રાઉન્ડ સ્ટાફને બિરદાવતો રહે છે.