![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/11/fe4v2k3vqaougt3-1_1637735056.jpg)
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ જીતવા ફેવરિટ મનાઈ રહી
આજથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સૌપ્રથમ શ્રેણીનો પ્રારંભ થશે. જેમાં ભારતીય કેપ્ટન કોહલીની સાથે રોહિત શર્મા,બુમરાહ, શમી અને પંતને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે લોકેશ રાહુલ ઈજાના કારણે બહાર થઈ ગયો છે. આમ છતાં સ્ટેન્ડ ઈન કેપ્ટન રહાણેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને યુવા અને અનુભવી ખેલાડીઓના કોમ્બિનેશનને સહારે જીતની આશા છે. કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં આવતીકાલે સવારે 9:30 વાગ્યાથી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થશે. જેમાં ભારતીય ટીમમાં સ્ટાર્સ ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય બેટીંગ લાઈનઅપમાં ચેતેશ્વર પુજારા અને કેપ્ટન અજિંક્યા રહાણેની જવાબદારી વધી ગઈ છે. જ્યારે મયંક અગ્રવાલ અને શુભમન ગિલની ઓપનિંગ જોડી નક્કી જેવી છે. જ્યારે વનડાઉન તરીકે ચેતેશ્વર પુજારા ઉતરશે. જ્યારે કેપ્ટન તરીકે રહાણે પાંચમા ક્રમે બેટીંગમાં ઉતરશે તે નક્કી લાગી રહ્યું છે. બીજીતરફ ઈશાંત શર્માની સાથે ઉમેશ યાદવ કે મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. જ્યારે અશ્વિન-જાડેજાની સ્પિન બોલિંગ જોડી તેનો કમાલ દેખાડવા માટે તૈયાર છે.આ સિવાય અક્ષર પટેલને ત્રીજા સ્પિનર સ્થાન મળી શકે છે. જ્યારે ન્યુઝીલેન્ડની બેટીંગ લાઈનઅપનો મદાર કેપ્ટન વિલિયમસન પર રહેશે.