IPLમાં ખેલાડીઓની પસંદગી માટે નવી ટીમોને 14 દિવસ જેટલો સમય મળી શકે છે
આઈપીએલની નવી સિઝનની તૈયારી શરૂ થઈ ચૂકી છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ કમિટીએ ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા હતા. આઈપીએલની 15મી સિઝનમાં સામેલ થનાર 2 નવી સિઝનને ખેલાડીઓની પસંદગી માટે 10 થી 14 દિવસનો સમય મળશે. આ દરમિયાન બંને ટીમોએ 3-3 ખેલાડીઓની પસંદગી કરી શકશે અને તેમના નામ હરાજી અગાઉ બોર્ડને આપવાના રહેશે. જુની ટીમોએ રિટેન કરેલા ખેલાડીઓની યાદી પહેલા જ બોર્ડને આપી દીધી છે.
આઈપીએલ-15ના આયોજન સ્થળ અંગે ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું કે,‘અમે ભારતમાં જ આઈપીએલ આયોજન કરવા માગીએ છીએ. પરંતુ અમારે કોરોનાની સ્થિતિ જોવી પડશે.’ જ્યારે મેગા હરાજી બેંગલુરુમાં 12-13 ફેબ્રુઆરીએ થશે.
કોરોનાને કારણે મેગા હરાજીની તારીખ અને સ્થળમાં ફેરફારની અટકળો વહેતી થઈ હતી. જોકે બોર્ડે નિર્ધારીત તારીખે જ મેગા હરાજીનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.