પાકિસ્તાન ક્રિકેટ બોર્ડથી નારાજ મોહમ્મદ આમિરે કરી નિવૃતીની જાહેરાત
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના સ્ટાર બોલર મોહમ્મદ આમિરએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. આમિર ટેસ્ટ ક્રિકેટને પહેલા જ અલવિદા કહી ચુક્યો છે હવે તેણે અનિશ્ચિતકાળ સુધી બ્રેક લેવાનો ર્નિણય લીધો છે. તેના આ ર્નિણયે બધાને ચોંકાવી દીધા છે. ટિ્વટર પરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં આમિરે પીસીબી પર ગંભીર આરોપ લગાવ્યા છે. આમિરે કહ્યુ, ‘હું ક્રિકેટ છોડી રહ્યો છું, મને નથી લાગતુ કે હું હાલના મેનેજમેન્ટની સાથે રમી શકુ છું.
આમિરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટને માનસિક રીતે પરેશાન કરવાનો આરોપ લગાવતા કહ્યુ, મને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે, અને હવે હું વધુ સહન કરી શકું નહીં. મેં ૨૦૧૩થી ૨૦૧૫ વચ્ચે ઘણું સહન કર્યુ છે અને તે સમયે જે પણ થયું મેં તેની સજા પણ ભોગવી છે. તેણે કહ્યુ, ‘જે બે લોકોએ હંમેશા મારો સાથ આપ્યો છે તે છે (નઝમ) સેઠી સાહેબ અને શાહિદ આફ્રિદી. કારણ કે બાકી ટીમ તે કહી રહી છે કે આમિરની સાથે રમવુ નથી. આ પ્રકારનો માહોલ બનાવવામાં આવ્યો હતો. ૧૭ વર્ષની ઉંમરમાં આમિરે ૨૦૦૯મા શ્રીલંકા વિરુદ્ધ વનડે અને ટેસ્ટમાં પર્દાપણ કર્યુ હતું. તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેણે ટી૨૦ કરિયરની શરૂઆત કરી હતી.
૨૮ વર્ષના આ ખેલાડીએ પાકિસ્તાન માટે ૩૬ ટેસ્ટ, ૬૧ વનડે અને ૫૦ ટી૨૦ મુકાબલા રમ્યા છે. તેણે કુલ ૨૫૦ વિકેટ ઝડપી છે. મહત્વનું છે કે પાકિસ્તાન અને ભારતીય મીડિયામાં ચાલી રહેલા સમાચારો પ્રમાણે મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો ર્નિણય લીધો છે. હજુ સુધી આમિર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી નથી.