![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/File-02-Page-14-2.jpg)
એશિયા કપમાં લક્ષ્મણ ભારતીય ટીમના વચગાળાના કોચ નિયુક્ત
નવીદિલ્હી, એશિયા કપના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય ટીમમાં છેલ્લી ઘડીએ મહત્વના ફેરફાર કરવામાં આવ્યો છે. નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના વડા વીવીએસ લક્ષ્મણને એશિયા કપમાં ભારતીય ટીમના વચગાળાના કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોરોનામાં પટકાતાં તે મંગળવારે ટીમ સાથે યુએઈ ગયા નહતા. રાહુલ દ્રવિડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે હાલમાં આઈસોલેશનમાં છે.
દ્રવિડનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે ત્યારબાદ જ તે દુબઈમાં ભારતીય ટીમ સાથ જાેડાઈ શકશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, વીવીએસ લક્ષ્મણ આગામી એશિયા કપ ૨૦૨૨ માટે ભારતીય ક્રિકેટ ટીમના વચગાળાના કોચની જવાબદારી સંભાળશે. ઉલ્લેખનીય છે કે ભારત એશિયા કપમાં ૨૮ ઓગસ્ટના પ્રથમ મુકાબલો તેના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે રમશે. લક્ષ્મણ તાજેતરમાં જ ભારતની બીજા હરોળની ટીમ સાથે ઝિમ્બાબ્વે પ્રવાસમાં ગયા હતા.
રાહુલ દ્રવિડ કોરોનાગ્રસ્ત થતા હવે એશિયા કપમાં ટીમની પ્રારંભિક તૈયારીઓ પર લક્ષ્મણની નજર રહેશે.બોર્ડની મેડિકલ ટીમ દ્રવિડની દેખરેખ રાખી રહી છે અને તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે યુએઈ રવાના થશે તેમ જય શાહે જણાવ્યું હતું. ભારતે ઝિમ્બાબ્વેનો વન-ડે શ્રેણીમાં ૩-૦થી ક્લીન સ્વિપ કર્યો હતો. ઝિમ્બાબ્વે સામેની ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ જેમ કે કે એલ રાહુલ, દીપક હુડ્ડા અને આવેશ ખાન સાથે વીવીએસ લક્ષ્મણ પણ હરારેથી સીધા યુએઈ પહોંચ્યા હતા.