![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/File-02-Page-14-1.jpg)
ભારતે આક્રમક બેટિંગ વલણ જાળવી રાખવું જાેઈએ : રવિ શાસ્ત્રી
નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આગામી ૨૮ ઓગસ્ટના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ મુકાબલા પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મહત્વની સલાહ આપી છે. પૂર્વ કોચના મતે ભારતે ક્રિકેટની ટૂંકી ફોરમેટમાં અત્યંત આક્રમક વલણ જાળવી રાખવું જાેઈએ. ભૂતકાળમાં ભારતનું વલણ સહેજ નરમ રહ્યું હતું જેને પગલે રવિ શાસ્ત્રીએ ખેલાડીઓને ખાસ સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતના ઈનિંગની શરૂઆતમાં સાવચેતીભર્યા વલણને લીધે તે લીગ રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હતું.
શાસ્ત્રીએ જણાવ્યું કે, ભારતીય ટીમે છેલ્લા કેટલાક સમયથી ટી૨૦ ફોરમેટમાં જે વલણ અપનાવ્યું છે તેને જાળવી રાખવું જાેઈએ. હું જ્યારે ટીમના પ્રમુખ કોચ તરીકે હતો ત્યારે પણ આ મુદ્દે મે ચર્ચા કરી હતી. ટોચના ક્રમના બેટ્સમેનો થોડું ધીરે રમતા હતા જ્યારે ટીમ પાસે પાછળના ક્રમમાં સારા બેટ્સમેનો હતા. આ અભિમગ યોગ્ય રહેશે અને જાે વચ્ચે તમે કેટલીક મેચ હારો છો પરંતુ તમે શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરવામાં સફળ રહો છો તો આ વલણ મહત્વની મેચમાં આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થશે. જેથી ખેલાડીઓએ આ જ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું જાેઈએ તેમ શાસ્ત્રીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં આરામ આપ્યા બાદ વિરાટ કોહલી એશિયા કપમાં ભારતીય ટી૨૦ ટીમમાં કમબેક કરશે. કે એલ રાહુલ ઝિમ્બાબ્વે સામેની શ્રેણી અગાઉ ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ ઝિમ્બાબ્વે સામે વન-ડે શ્રેણીમાં વિજયના જુસ્સા સાથે લોકેશ પણ ટી૨૦ ફોરમેટમાં પુનરાગમન કરશે. શું આ બન્ને વરિષ્ઠ બેટ્સમેનો આક્રમક વલણ દર્શાવી શકશે તેવું પૂછતાં શાસ્ત્રીએ જણાવ્યું કે, શા માટે નહીં. તેઓ અનુભવી ખેલાડીઓ છે અને તેમણે નોંધપાત્ર આઈપીએલ તેમજ ટી૨૦ મેચ રમી છે. ભારત પાસે મધ્ય હરોળમાં રિશભ, હાર્દિક, જાડેજા જેવા ધૂરંધર ખેલાડીઓ છે જે ટોચનો ક્રમ નિષ્ફળ રહે તો ગેમમાં વાપસી કરાવવાનું સામર્થ્ય ધરાવે છે.
ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીના મતે ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાની ટીમમાં વાપસી થતા ભારતીય ટીમમાં સંતુલન જાેવા મળે છે. ભારતીય ટીમનો તે મહત્વો હિસ્સો છે. ગત વર્ષે વર્લ્ડ કપમાં હાર્દિક બોલિંગ કરી શક્યો નહતો. આ ઉપરાંત ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પણ તેટલો જ મહત્વનો ખેલાડી છે. આમ આ બન્ને મહત્વના ખેલાડીઓના કાર્યબોજ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે તેમ શાસ્ત્રીએ જણાવ્યું હતું. પૂર્વ કોચે વિરાટનું સમર્થન કરતા એશિયા કપમાં તે પોતાની લય પુનઃ પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.