ભારતને પ્રથમ ટેસ્ટ જીતવા માટે નવ વિકેટની, ન્યુઝીલેન્ડને ૨૮૦ રનની જરુર
કાનપુરના ગ્રીન પાર્કમાં ચોથા દિવસની અત્યંત પડકારજનક પીચ પર કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહેલા શ્રેયસ ઐયરની ૧૨૫ બોલમાં ધીરજપૂર્વકની ૬૫ રનની તેમજ ૩૭ વર્ષના વિકેટકિપર-બેટ્સમેન સહાની ૧૨૬ બોલમાં ૬૧* રનની ઈનિંગને સહારે ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ ટેસ્ટ જીતવા માટે ૨૮૪નો પડકાર આપ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે ચોથા દિવસની રમતના અંતે ઓપનર યંગ (૨)ની વિકેટ ગુમાવતા ચાર રન નોંધાવ્યા હતા.
હવે આવતીકાલે ટેસ્ટના પાંચમા અને આખરી દિવસે ભારતને જીતવા માટે વધુ નવ વિકેટની જરુર છે. જ્યારે ન્યુઝીલેન્ડને જીતવા માટે વધુ ૨૮૦ રન નોંધાવવાના છે. અશ્વિન, જાડેજા અને અક્ષરની હાઈક્વોલિટી સ્પિન ત્રિપુટીને સહારે ભારત ટેસ્ટ મેચ જીતવા માટે ફેવરિટ મનાય છે. જ્યારે ન્યુઝીલેન્ડને ચમત્કારિક સફળતાની આશા છે.