IND vs SA: ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર, આ ખેલાડીને મળશે તક!
આ વખતે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં પાછલી હારનો બદલો લેવા વાપસી કરશે કે પછી ફરી એકવાર નિરાશ થશે? 21મી ડિસેમ્બરને ગુરુવારે એટલે કે આજે સ્પષ્ટ થશે. પાર્લના બોલેન્ડ પાર્કમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. બે મેચ બાદ સિરીઝ 1-1થી બરાબર છે. સિરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયાએ પોતાનું પ્રદર્શન સુધારવું પડશે અને આ માટે તેને પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કરવા પડશે. મોટાભાગની નજર તિલક વર્માને બીજી તક મળશે કે કેમ તેના પર રહેશે?
જાન્યુઆરી 2022માં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકામાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ આ મેદાન પર 3 માંથી 2 મેચ યોજાઈ હતી. કેએલ રાહુલ તે શ્રેણીમાં પણ કેપ્ટન હતો અને આ વખતે પણ તે જ છે. આવી સ્થિતિમાં રાહુલ માટે વ્યક્તિગત રીતે આ મેચ અને સિરીઝનું પરિણામ ખૂબ જ ખાસ હશે. તે આ માટે કોઈ કસર છોડવા માંગશે નહીં. જો કે, પ્રશ્ન એ રહેશે કે શું તે પ્લેઈંગ ઈલેવનમાં થોડો ફેરફાર કરે છે કે પછી તે જ ખેલાડીઓમાં વિશ્વાસ બેસાડે છે જેઓ પ્રથમ અને બીજી મેચમાં મેદાન પર ઉતર્યા હતા.
ઋતુરાજ ગાયકવાડ સીરીઝની બંને મેચમાં ઓપનર તરીકે કોઈ અસર કરી શક્યો ન હતો અને સસ્તામાં આઉટ થયો હતો. જોકે, તેમના સિવાય ઓપનિંગ માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગાયકવાડને યથાવત રાખવામાં આવશે. બધાની નજર તિલક વર્મા પર હશે, જેમણે વેસ્ટ ઈન્ડિઝમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની મજબૂત શરૂઆત બાદથી સારું પ્રદર્શન કર્યું નથી. સિરીઝની પ્રથમ મેચમાં તેને વધુ બેટિંગ કરવાની તક મળી ન હતી કારણ કે ટીમ લક્ષ્ય સુધી પહોંચી ગઈ હતી, પરંતુ બીજી વનડેમાં તેની સ્વિંગ અને બાઉન્સની સમસ્યા સ્પષ્ટ દેખાઈ રહી હતી અને તે 30 બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.
તેના સ્થાને મધ્યપ્રદેશના શક્તિશાળી બેટ્સમેન રજત પાટીદારનો વિકલ્પ છે. IPLમાં વિરાટ કોહલી સાથે બેંગ્લોર તરફથી રમી ચૂકેલા રજતને છેલ્લા 2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે દાવેદાર માનવામાં આવી રહ્યો છે અને આ ODI મેચ તેની પરીક્ષા કરવાની સારી તક બની શકે છે. પાટીદારે 57 લિસ્ટ A મેચમાં 36ની એવરેજથી લગભગ 2 હજાર રન બનાવ્યા છે. વિજય હજારે ટ્રોફીમાં પણ પાટીદાર સારા ફોર્મમાં હતો.
આ સિવાય જોવાનું એ રહેશે કે વોશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલને આ વખતે તક મળે છે કે નહીં? સુંદરને ટી20 સિરીઝમાં પણ બેન્ચ પર બેસવું પડ્યું હતું, જ્યારે ચહલને માત્ર ODI માટે પસંદ કરવામાં આવ્યો હતો અને તે પછી પણ તેને પ્રથમ બે મેચમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. ચહલ માટે આ છેલ્લી તક હોઈ શકે છે કારણ કે હવે તેની ટી20માં પસંદગી કરવામાં આવી રહી નથી અને આ શ્રેણી પછી આગામી કેટલાક મહિનાઓ સુધી કોઈ વનડે શ્રેણી નથી.
ભારતનો સંભવિત પ્લેઇંગ 11
કેએલ રાહુલ (કેપ્ટન-વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, રજત પાટીદાર, સંજુ સેમસન, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમાર.