![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/jasprit.png)
IND vs ENG: જસપ્રીત બુમરાહ જશે બ્રેક પર, ઇંગ્લેન્ડ સામ નહિ રમે ચોથી ટેસ્ટ મેચ
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રાંચીમાં રમાનાર ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ તેના વર્કલોડને નિયંત્રિત કરવા માટે બુમરાહને રાંચી ટેસ્ટમાં નહીં રમવાનો નિર્ણય લઈ શકે છે. ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ સીરીઝની પ્રથમ 3 મેચ બાદ બુમરાહ સૌથી સફળ બોલર તરીકે ઉભરી આવ્યો છે. આવી સ્થિતિમાં ટીમમાં તેની ગેરહાજરી ઈંગ્લેન્ડની વાપસીનો રસ્તો થોડો સરળ બનાવી શકે છે. પરંતુ ભારતે સીરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી હોવાથી તે આ જોખમ ઉઠાવી શકે છે.
ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ભારતે 434 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. રનના મામલામાં આ જીતનો મોટો રેકોર્ડ છે. જ્યારથી ઈંગ્લેન્ડે ટેસ્ટ રમવાની બેઝબોલ શૈલી અપનાવી છે ત્યારથી તેને ક્યારેય આવી હારનો સામનો કરવો પડ્યો નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનો રાજકોટમાં વિજય ઘણો અર્થ ધરાવે છે. આ શાનદાર જીતે તેમને 5 ટેસ્ટ સીરીઝમાં પણ 2-1થી આગળ કરી દીધું છે.
હવે જ્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરીઝમાં ફ્રન્ટ ફૂટ પર છે, તેથી જ તે બુમરાહના વર્કલોડ વિશે વિચારી રહી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપવાના મૂડમાં છે. અને, આ જ કારણ છે કે રાંચીમાં યોજાનારી ચોથી ટેસ્ટમાંથી તેને આરામ આપવામાં આવ્યો હોવાના અહેવાલો છે. જોકે, વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં જીત બાદ જ બુમરાહને આરામ આપવાની હવા ફૂંકાવા લાગી હતી. પરંતુ તે પછી સીરીઝ 1-1 થી બરાબર થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયા કોઈ એવું પગલું ભરવા માંગતી ન હતી જેનાથી નુકસાન થઈ શકે. આ વિચારીને તેણે બુમરાહને આરામ ન આપ્યો.
પરંતુ, હવે ટીમ ઈન્ડિયા સીરીઝમાં આગળ છે. આવી સ્થિતિમાં તેને રાંચી ટેસ્ટમાં આરામ આપવામાં આવે તેવી આશા છે. અત્યાર સુધીની ટેસ્ટ સીરીઝમાં બુમરાહના પ્રદર્શનની વાત કરીએ તો તે બોલરોમાં ટોચ પર છે. અત્યાર સુધી તેણે 3 મેચમાં કુલ 80.5 ઓવર ફેંકી છે અને 13.64ની એવરેજથી 17 વિકેટ લીધી છે.