![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/11/5fe3e858-b037-4f5e-b923-0d7646c168a3-57.jpg)
ન્યુઝીલેન્ડ સામે સ્ટાર્સની ગેરહાજરી છતાં ટીમ ઈન્ડિયા જીતવા ફેવરિટ
આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સૌપ્રથમ શ્રેણીનો પ્રારંભ થશે. ગત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે યોજાનારી શ્રેણીમાં જીતવા માટે ફેવરિટ મનાય છે. સતત ક્રિકેટથી થાકેલા ભારતીય કેપ્ટન કોહલીની સાથે રોહિત શર્મા, બુમરાહ, શમી અને પંતને આરામ આપવામાં આવ્યો છે. લોકેશ રાહુલ ઈજાના કારણે બહાર થઈ ગયો છે. આમ છતાં સ્ટેન્ડ ઈન કેપ્ટન રહાણેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને યુવા અને અનુભવી ખેલાડીઓના કોમ્બિનેશનને સહારે જીતની આશા છે.
કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં આવતીકાલે સવારે ૯.૩૦ વાગ્યાથી શ્રેણીની પ્રથમ ટેસ્ટ શરૃ થશે. ભારતે કોહલીના સ્થાને શ્રેયસ ઐયરને ટેસ્ટ કેપ આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ કેપ્ટન વિલિયમસન તેમજ ઓલરાઉન્ડર જેમીસનના પુનરાગમનથી ઉત્સાહિત છે. ફાસ્ટર બોલ્ટને આરામ આપવામાં આવ્યો છે. સાઉથીની સાથે વાગ્નેર પણ જોડાશે. ન્યુઝીલેન્ડે ત્રણ સ્પિનરોને રમાડવાની શક્યતા વ્યક્ત કરી છે. તે જોતા આવતીકાલથી શરૃ થઈ રહેલો મુકાબલો રસપ્રદ બનશે.