વિલંબને લીધે કોર્ટોએ આવા અપરાધીઓને જામીન આપવી પડે છે
જઘન્ય ગુનાઓના કેસોના ઝડપી ટ્રાયલની જરૂરિયાત પર ભાર મૂકીને સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ઘણીવાર ખુંખાર ગુનેગારો સમગ્ર ન્યાયપ્રણાલીને હાઇજેક કરે છે અને ટ્રાયલ પૂર્ણ થવા દેતા નથી. તેના પરિણામે કોર્ટને વિલંબના આધારે તેમને જામીન આપવાની ફરજ પડે છે.કેન્દ્ર સરકાર વિશેષ કોર્ટ સ્થાપવા માટે રાજ્યો સાથે પરામર્શ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં નિર્ણય કરાશે તેવી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભટ્ટીની રજૂઆત પછી ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની ખંડપીઠે આ ટિપ્પણી કરી હતી. ખંડપીઠે ભાટીને જણાવ્યું હતું કે જઘન્ય ગુનાઓમાં સમયસર ટ્રાયલ પૂર્ણ કરવી સમાજના હિતમાં છે અને ખુંખાર ગુનેગારો માટે ઝડપી ટ્રાયલ તેમને વધુ ગુના કરતાં રોકી શકે છે. આ તમારા માટે પ્રોત્સાહન આપવાની તક છે. ક્યારેક આવા ગુનેગારો સમગ્ર ન્યાય વ્યવસ્થાને હાઇજેક કરે છે અને ટ્રાયલ પૂર્ણ થવા દેતા નથી, પરિણામે કોર્ટને વિલંબના આધારે તેમને જામીન આપવાની ફરજ પડે છે.
એડિશનલ સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે આવી અદાલતો સ્થાપવાની સત્તા રાજ્યો પાસે હોવાથી રાજ્યોને સહમત કરવાની જરૂર છે. ન્યાયાધીશ કાંતે કહ્યું હતું કે કેન્દ્રે ફક્ત જરૂરી બજેટ ફાળવણીની પ્રતિબદ્ધતા આપવાની જરૂર છે. હાઇકોર્ટની મંજૂરી અને રાજ્ય સરકારની ભૂમિકાના મુદ્દાને પછીથી ઉકેલી શકાય છે. સર્વોચ્ચ અદાલતે આ મામલાની સુનાવણી ૧૪ ઓક્ટોબર પર મુલતવી રાખી હતી. ૧૮ જુલાઈએ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને ખાસ કાયદા હેઠળના કેસો માટે અદાલતો ન બનાવવા બદલ ફટકાર લગાવી હતી.

