માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન:- કલેકટર મિહિર

માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન:- કલેકટર મિહિર

પાંચ હજાર કરતાં વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત : ૩૩૨ થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ

દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ કાર્યરત

શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ૧ થી ૭ મી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે.

પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ૨૯ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. જિલ્લા કલેકટરે આ સાથે કરોડો માઇ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

કલેક્ટરએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માં અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. મેળાના છેલ્લા દિવસે પત્રકાર મિત્રો પણ માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા જાળવવામાં આવશે. ચાલુ વર્ષે ડ્રોન શૉનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. વિસામાની સંખ્યામાં પણ વધારો કરાયો છે.

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે ત્રણ લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ “ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન” તરીકે કામ કરશે. ૫૦૦૦ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. મહિલાઓ માટે ‘શી’ ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *