ઢાળવાસમાં જવેલર્સની દુકાન માં રૂ.17.50 લાખની ચોરી: પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ; પાલનપુરમાં કોટની અંદરના વિસ્તારમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરો ત્રાટકયા હતા. નાની બજારમાં નાના વેપારીઓને નિશાન બનાવી 5 થી 6 દુકાનોના તાળાં તોડ્યા હતા. જ્યારે ઢાળ વાસમાં જવેલર્સની દુકાનમાં રૂ. 17.50 લાખની ચોરી કરી તસ્કરો એ તરખાટ મચાવતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે.
પાલનપુરની મોટી બજાર પોલીસ ચોકીથી 100 મિટરના અંતરે આવેલી નાની બજાર વિસ્તારમાં 5 થી 6 દુકાનોના તાળા તોડી તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હતી. અગાઉ પણ ચોરીઓની વારદાત ઘટી ચુકી છે. ત્યારે રથયાત્રાના મોકાનો લાભ લઇ તસ્કરોએ 5 થી 6 દુકાનોના તાળાં તોડી પચાસેક હજારની ચોરી થઈ હોવાનું પીડિત વેપારી મહમંદ ઉસ્માન સિંધીએ જણાવ્યું હતું.
જોકે, નાના વેપારીઓને ટાર્ગેટ કરતી તસ્કર ટોળકીને લઈને વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. વેપારીઓ એ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવતા પીડિત વેપારી સમીરભાઈએ પોલીસ પોઇન્ટ મુકવાની માંગ કરી હતી.
પાલનપુરમાં પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં તસ્કરો બેફામ બની વેપારીઓની દુકાનોને ટાર્ગેટ બનાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તસ્કરોએ ઉપરા છાપરી ચોરીઓને અંજામ આપતા પોલીસ ઊંઘતી ઝડપાઇ ગઈ છે.
ઢાળવાસમાં રૂ.17.50 લાખની ચોરી; જોકે, પાલનપુર શહેરનું ભરચક માર્કેટ ગણાતા ઢાળવાસ વિસ્તાર માં પણ દુકાનોમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. વર્ષોથી સોના ચાંદીના દાગીનાના ધંધો કરતા વેપારી અશોકભાઈ સોની ની દુકાનના તાળા તોડી રૂ. 17.50 લાખની ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દુકાનમાં પડેલ 11 કિલો ચાંદી 45 ગ્રામ સોનું અને અઢી લાખની રોકડ રકમ મળી કુલ રૂ.17.50 લાખની ચોરી થઈ હોવાનું મુકેશભાઈ સોની નામના વેપારીએ જણાવ્યું હતું. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને અપાયા છે. ત્યારે પોલીસ તસ્કરોનું પગેરું મેળવી મુદ્દામાલ પરત અપાવે તેવો આશાવાદ વેપારી સેવી રહ્યો છે.


