પાલનપુરના ધારાસભ્યના હસ્તે શાળા પ્રવેશોત્સવ યોજાયો
ગુજરાત સરકાર દ્વારા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે રાજ્યના અંતરિયાળ વિસ્તારના તમામ બાળકોને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી ગુજરાતમાં દર વર્ષે યોજાતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પહેલા દિવસે ચંડીસર પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકોને ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે આત્મીયભાવે – સ્નેહભાવથી પેન અને પુસ્તકો સહિતની શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો. અને સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમજ પર્યાવરણને જીવંત રાખવા વૃક્ષારોપણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે, બાળકના જીવનમાં રંગ પુરવાની શરૂઆત દફતર થી થાય છે, તેના જીવનની યાત્રા દફતરથી શરૂ થાય છે. શાળા પ્રવેશોત્સવ વખતે બાળકને અપાતું દફતર એ માત્ર દફતર નથી પરંતુ બાળકની ઉજ્જવળ કારકિર્દીનું પર્યાય છે. યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા થી શરૂ થયેલ “શાળા પ્રવેશોત્સવ” મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી નેતૃત્વમાં રાજ્યના વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષણ મેળવે તે દિશામાં આ સરાહનીય પ્રયાસ છે. તેઓએ શાળા પ્રવેશોત્સવ થકી સ્વર્ણિમ રાષ્ટ્રનું નિર્માણ કરવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે પશુપાલન અધિકારી ગેહલોત,પૂ. તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાળજા, બનાસકાંઠા ભાજપ મીડિયા સેલ કન્વીનર આશુતોષભાઈ બારોટ, નરપતસિંહ રાજપૂત, ચેહરભાઈ નાઈ, હિતેશ દેસાઇ, વિક્રમ ઠાકોર, ડે. સરપંચ નૂરભાઈ સિંધી, આચાર્ય, શિક્ષકો, સ્ટાફ મિત્રો, આરોગ્ય વિભાગના અધિકારીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

