![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/sanjivni-5.jpg)
વધુ પાણી પણ પાચન બગાડે
પાણી એ દરેક પ્રાણીઓનું જીવન છે અને સંપૂર્ણ જગત તેનાથી વ્યાપેલું છે તેથી પાણી હંમેશા દરેક વ્યક્તિએ પીવું જ જોઈએ.
ચોમાસામાં આવતા પુરનું પાણી પીવાય નહિ, પાણીમાં જ ડૂબીને માણસનું મૃત્યુ પણ થાય છે અને પીવા યોગ્ય પાણી નહિ મળવાથી જીવનને મૃત્યુનો ભય પણ સતાવે છે તેથી પાણી છે તો જીવન છે. પાણી નથી તો જીવન નથી.
હીટવેવ- સામાન્ય ગરમીથી પાંચ-છ ડીગ્રી તાપમાન વધુ હોય તો તેને હિટવેવ કહી શકીએ. ભારતીય હવામાન વિભાગ અનુસાર જયારે મેદાની વિસ્તારમાં તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે અને પહાડી વિસ્તારોમાં તાપમાન ૩૦ ડીગ્રી સુધી પહોંચે છે ત્યારે હીટવેવ શરુ થાય છે.
અત્યારે તાપમાન ૪૫ ડીગ્રી સેલ્સિયસ થી પણ વધુ જ્યારે જણાઈ રહ્યું છે ત્યારે ગરમી, બળતરા, શોષ લાગવો, થાક, નબળાઈ, ચક્કર આવવા, માથાનો દુખાવો થવો, સ્નાયુમાં ખેંચાણ, પરસેવો વધુ થવો, તાવ, અપચો, ઝાડા, ઉલટી થવી, ગભરામણ થવી, શરીર જકડાવું, સોજા, બેભાન થવું, હૃદયના ધબકારા વધી જવાની તકલીફ ગમે તેને, ગમે ત્યારે થઇ શકે છે જો યોગ્ય કાળજી લેવામાં આવે નહિ તો…..
વિશેષ કરીને મોટી ઉંમરના લોકોએ દિવસ દરમિયાન ઘરમાં જ રહીને વાતાનુકુલિત વાતાવરણમાં રહેવું અને ચિંતન, મનન, અભ્યાસ કરતા રહેવું. ચિંતા, ઉજાગરા કે વધુ ઊંઘ લેવાનું ટાળવું. પેટ ભરીને ભોજન કરવું નહિ, ભૂખથી અડધાથી ય ઓછું ભોજન લેવું.
આ કાળઝાળ ગરમીમાં સવારે વહેલા ઉઠીને નિત્ય વ્યાયામ કરવો જરૂરી છે, સવારે સાત પછી ગરમી શરુ થાય છે તેથી ગરમીમાં વ્યાયામ કરવો નહિ. વ્યાયામ વિનાનું જીવન એ જીવન નથી, વ્યાયામ વિના દિવસ ઉગવો જોઈએ જ નહિ. પરંતુ અત્યારે સૂર્યોદય પછી વ્યાયામ કરવો હિતાવહ નથી અન્યથા શોષ, ક્ષય થશે અને તેની સીધી અસર હૃદય ઉપર થશે.
જેમ ભૂખથી અડધાથી ય ઓછું ભોજન લેવું તેમ પાણી પણ થોડું થોડું પાણી વારંવાર પીવું. એકીસાથે વધુ પાણી પીવું નહિ અન્યથા વધુ પાણી પીવાથી પણ પાચન નબળું પડે છે અને તેથી ઝાડા, મરડો થઇ શકે છે. છાસ અને લીંબુ પાણી પાચન સુધારે છે અને ઝાડા, મરડો જેવા રોગો મટે છે.
પાણી એ અત્યંત આવશ્યક હોવા છતાં તાવ, આંખના રોગો, ચામડીના રોગો, ભૂખ ના લાગવી તે, પેટના રોગો, ભૂખ લાગે પરંતુ ખોરાક ખાવા પ્રત્યે રૂચી થાય નહિ તે, શરદી, મોંઢામાંથી લાળ આવવી, સોજા, ક્ષય, ગડ-ગુમડ અને મધુપ્રમેહ આટલા રોગોમાં એકી સાથે વધુ પ્રમાણમાં પાણી પીવાની આયુર્વેદ “ના” કહે છે.
આટલી બીમારી હોય નહિ છતાં પણ અને અતિશય તરસ લાગી હોવા છતાં પણ એક સામટું – વધુ પાણી પીવાથી તે કફ તથા પિત્ત કરનાર થાય છે.