ગાયત્રી સાધના અધુરી છોડવાનો ફળ…
પાતાળ લોકમાં રહેનારો તરૂણ નામનો એક દૈત્ય હતો. આ દૈત્ય ગંગા નદીના કિનારો રહી તપ કરતો. તેણે નિરાહાર રહી અને એકાગ્ર ચિતે વર્ષો સુધી ગાયત્રી મંત્રનો જાપ
કરેલો. તેને લીધે પ્રસન્ન થયેલા ગાયત્રી દેવી પાસે તરૂણ દૈત્યે વરદાન માંગ્યું કે “બે પગ વાળા (મનુષ્ય, વાનર વગેરે) તથા ચાર પગ વાળા કોઈ પણ પ્રકારના જીવો મને મારી ન શકે તેવું વરદાન આપો.”
ત્યારે માતાજીએ તેને વચન આપ્યું કે, “ જ્યાં સુધી તું મારા મંત્રનો જપ કરતો રહીશ અને મારામાં મન જોડીને રહીશ ત્યાં સુધી કોઇપણ તારો વાળ વાંકો નહી કરી શકે.”
આમ દેવીની શક્તિથી બળવાન બનેલા તરૂણ દૈત્યએ દેવતાઓ સામે મોરચો ખોલ્યો. તે દેવોની શાંતિને હણવા લાગ્યો. યેનકેન પ્રકારે તે દેવોને હેરાન – પરેશાન કરવા લાગ્યો, તેથી કંટાળેલા દેવતાઓ તેનો સામનો કરવા છતાં તેમને પીછે હટ કરવાનો વખત આવ્યો. તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ભગવાનના શરણે ગયા. પરંતુ તેઓ પણ આ તરૂણ દૈત્યની સામે હારી ગયા. ત્યારે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિને સાથે રાખી સૌ વિચારવા લાગ્યા કે, તરૂણ દૈત્યની સમસ્યામાંથી કઇ રીતે મુક્ત થવું ? આખરે બૃહસ્પતિજીએ ઉપાય બતાવ્યો કે, તરૂણ દૈત્ય જો ગાયત્રી મંત્ર કરવાનું છોડી દે તો તેની સામે આપણે વિજય મેળવી શકીએ. તેમજ પોતે બિડું ઝડપ્યું કે, હું ખુદ જાતે જૈઈને તરૂણ દૈત્યની યુક્તિપૂર્વક ગાયત્રી સાધના છોડાવી દઇશ. બૃહસ્પતિજી તરૂણ દૈત્ય પાસે ગયા અને તેના મનમાં ગાયત્રી મંત્ર પ્રત્યે શંકા ઉભી કરી દીધી. શંકા ઉભી થતાં તેણે ધીરે ધીરે ગાયત્રી મંત્રની સાધના કરવાનું છોડી દીધું. તેના કારણે તે ધીરે ધીરે નિસ્તેજ થવા લાગ્યો.
બીજી બાજુ દેવતાઓએ જગત જનની મા સાવિત્રીની
પૂજાઅર્ચના શરૂ કરી દીધી. શ્રધ્ધા – ભક્તિપૂર્વક ગાયત્રી મંત્રના જાપથી પ્રસન્ન થયેલા સાવિત્રી દેવી દેવતાઓને વરદાન આપ્યું કે, “ તરૂણ નામના દૈત્યના ત્રાસમાંથી હું તમને જરૂર મુક્ત કરાવીશ.” પછી દેવીએ પોતાની શક્તિથી ભ્રમરોને ઉત્પન્ન કર્યા ( ભ્રમરો એટલે બે પગ – ચાર પગ વગરના જીવ )એ ભમરોએ તરૂણ દૈત્ય ઉપર પ્રહાર કરી તેને દેશ મારી મારી તેને મારી નાખ્યો.
આમ, ગાયત્રી સાધના છોડી દેનાર તરૂણ દૈત્યનું મૃત્યુ થયું અને દેવતાઓ તેના ત્રાસમાંથી મુક્ત થયા.
સર્વત્ર રક્ષા માટે દેવી મંત્ર.
“સુલેન પાહિ નો દેવિ પાહિ ખડ્ગેન ચામ્બિકે
ઘંટાસ્વનેન નઃ પાહિ ચાપ જ્વાનિ સ્વનેનચ.”
ઉપરોક્ત મંત્રની દરરોજ ત્રણ માળા શ્રધ્ધા સાથે કરતા રહેવાથી દેવી માં સર્વત્ર રક્ષા કરે છે .
કનકચંદ્ર છગનલાલ વ્યાસ
દેવેન કે.વ્યાસઅંજાર