![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/08-81.jpg)
સાબરકાંઠા જિલ્લામાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ આવેદનપત્ર આપ્યું
સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ સહીત હોદ્દેદારોએ હિંમતનગરમાં બહુમાળી ભવનમાં ગુરુવારે પડતર માંગણીઓને લઈને અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને અગામી દિવસમાં વિવિધ કાર્યક્રમ આપી વાલીઓને પણ જોડવામાં આવશે. તો હાલમાં 228 ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળામાં 800થી વધુ શિક્ષકો, ક્લાર્ક અને પટાવાળા નથી જેને લઈને શિક્ષણકાર્ય પર અસર થઇ રહી છે.સાબરકાંઠા જિલ્લામાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ 228 શાળામાં 800થી વધુ શાળાઓમાં શિક્ષક, કારકુન, પટાવાળા, ગ્રંથપાલ, લેબ ટીચર સહીત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ નથી. જેને લઈને સ્કુલના હાલના સ્ટાફ દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામગીરી થઇ રહી છે. તો શાળાઓમાં પુરતો સ્ટાફ ના હોવા છતાં યુડાયસ, આધાર ડાયસ,TATની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી, પુરક પરીક્ષાનું નિરીક્ષણ અને પરીક્ષણ, એકમ કસોટીના ગુણની ઓનલાઈન એન્ટ્રી, શિષ્યવૃત્તિ દરખાસ્ત જેવી કામગીરીની જવાબદારીઓના લીધે વિધાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર વર્તાઈ રહી છે. જેને લઈને તેમના પ્રશ્નોના ઠરાવ સરકાર બહાર પાડે તેવી માગ કરી છે અને અગામી 24 જુલાઈએ શાળામાં શિક્ષકો કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણ કાર્ય કરશે. ત્યારબાદ 29 જુલાઈના રોજ ધારાસભ્ય અને સાસંદ સભ્યને આવેદનપત્ર આપવાની વાત કરી હતી.
સાબરકાંઠા જિલ્લા અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ પ્રમુખ ભરત પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં 228 શાળામાં 800થી વધુ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ નથી. તો 100 શાળામાં કલાર્ક અને પટાવાળા જ નથી અને 15 સ્કુલોમાં માત્ર એક શિક્ષક છે. નવા સત્રને દોઢ મહિનો થઇ ગયો છે. ત્યારે સ્ટાફના હોવાને લઈને શિક્ષણ કાર્ય અસર વર્તાઈ રહી છે. માગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય કરવું અને 29 જુલાઈએ ધારાસભ્ય અને સાંસદ સભ્યને આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. અને વિધાર્થીઓના વાલીઓને શિક્ષકોની ઘટ સાથે શિક્ષકોને શિક્ષણ ઉપરાંત આપવામાં આવતી કામગીરીથી વાલીઓને વાકેફ કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચૂંટણી અગાઉ ઉકેલવામાં આવેલા નવ પ્રશ્નોના ઠરાવો તાત્કાલિક બહાર પાડવા વિનંતી કરવામાં આવે તે અંગેની લેખિત રજૂઆત સાથેનું આવેદનપત્ર દ્વારા અધિક કલેક્ટર દિગંત બ્રહ્મભટ અને શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીને આપ્યું હતું.