![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/લીલા-શાકભાજી-થાળીમાંથી-hed.jpg)
લીલા શાકભાજી થાળીમાંથી ગાયબ ભાવમાં ભડકો : ગૃહિણીઓમાં કકળાટ
શાકભાજીનું પૂરતું ઉત્પાદન થવા છતાં પણ ભર ચોમાસામાં શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે. ચોમાસામાં શાકભાજીના ભાવ સામાન્ય રીતે ઉતરતા હોય છે પણ ચાલુ વર્ષે ઉલટી ગંગા જોવા મળી રહી છે. લીલા શાકભાજી થાળીમાંથી ગાયબ થઈ જાય તે રીતે ભાવમાં ભડકો થયો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ વેર વિખેર થઈ ગયા છે. ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળતા નથી ત્યારે એ જ શાકભાજીમાંથી વચેટિયા અને વેપારીઓ કમાણી કરી રહ્યા છે. કૃત્રિમ ભાવવધારો કરીને લોકોના ખિસ્સા ખંખેરવામાં આવી રહ્યા છે. ગવારથી લઈ ચોળી, ભીંડા જેવા લીલા શાકભાજીના ભાવે 100ને પાર થઇ ગયા છે. આદુનો ભાવ કિલોનો રૂ.200એ પહોંચી ગયો છે.
શાકભાજીના કેટલા ભાવ: ગવાર રૂ.100થી 120, ચોળી-80થી 100, ભીંડા-80થી 100, કારેલા-50થી 70, દૂધી-50થી 60, ટામેટા-90થી 120, બટાકા-30થી 40, ડુંગળી-40થી 60, ગલકા-60થી 80, લીંબુ-70થી 80, ફુલાવર-80થી 100, કંકોડા-200થી 220, પાલક-50થી 70, લીલા મરચા-80થી 100, આદુ-180થી 200.
ખેડૂતો હતા ત્યાંને ત્યાં: વચેટિયા-વેપારીઓને કમાણીશાકભાજીનું ઉત્પાદન કરનારા ખેડૂતો હતા ત્યાંને ત્યાં રહ્યા છે. બીજી તરફ વચેટિયા અને વેપારીઓ ખેડૂતો પાસેથી નજીવી કિંમતે શાકભાજી ખરીદીને બજારમાં ઊંચા ભાવે વેચી રહ્યા છે. શાકભાજીના ભાવમાં કૃત્રિમ ભાવવધારો કરાયો છે. સામાન્ય માણસના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે તો ગૃહિણીઓમાં કકળાટ જોવા મળી રહ્યો છે. કારમી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા મથતા સેંકડો મધ્યમ વર્ગીય પરિવારોની હાલત કફોડી બની રહી છે.