![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/10/Rakhewal-24.jpg)
પ્રાંતિજમાં બ્રહ્માણી માતાજીના મંદિરેથી માતાજીની પલ્લી નીકળી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પટેલવાસમાંથી બ્રહ્માણી માતાજીની નોમના દિવસે પલ્લી નીકળી હતી. જેમાં રાજ્યભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તો કોરોનાના બે વર્ષ બાદ પલ્લીનો મેળો યોજાયો હતો. માતાજીની આરતી, ગરબા બાદ રાત્રે ધામધૂમ પૂર્વક બ્રહ્માણી માતકી જય સાથે ઘીના હોમાત્મક બાદ પલ્લીનું બ્રહ્માણી માતાજીના મંદિરેથી પ્રસ્થાન થયું હતું. સ્થાનિકો દ્વારા નોમના દિવસે બપોરથી લાકડાની પલ્લી બનાવ્યા બાદ સાંજે માતાજીના ચોકમાં બિરાજમાન કરવામાં આવે છે અને ઘીનો હોમાત્મક કરી સ્થાનિકો પલ્લી લઈને નગરના માર્ગો પર ફરીને રાઠોડવાસમાં પલ્લી પૂર્ણ થાય છે. તો મંદિરેથી નીકળેલી પલ્લી દોઢ કલાક નગરમાં ફરી હતી. નગરજનો, ભક્તો, દર્શનાથીઓ મોટી સંખ્યામાં પલ્લીમાં જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો.
સાબરકાંઠાના પ્રાંતિજના બ્રહ્માણી માતા અને ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા આ બંને બહેનો હોવાને નાતે રૂપાલની સાથે જ પ્રાંતિજમાં પલ્લી નિકળે છે અને જેમાં શ્રદ્ધાળુઓએ ઘી ચઢાવીને પલ્લીના દર્શનનો લાભ લીધો હતો. ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા અને પ્રાંતિજના બ્રહ્માણી માતાઆ બંને સગી બહેનો હોવાનું માનવામાં આવે છે અને એટલે જ રૂપાલની પલ્લી સાથે જ અહી પ્રાંતિજમાં પણ પલ્લી નિકળે છે. ભક્તો અહીં પલ્લીના દર્શન કરવા માટે ભીડ જમાવે છે અને પલ્લીના દર્શન નો લાભ લે છે. ભક્તો અહીં ઘી ચઢાવે છે અને ઘી થી તરબોળ આ પલ્લી પ્રગટાવીને પ્રાંતિજના પટેલવાસમાંથી નીકળે છે. જે નગરમાં માર્ગો પર ફરતી ફરતી રાઠોડવાસમાં પહોંચે છે. પૌરાણીક ઇતીહાસ પ્રમાણે અહી પરંપરાગત રીતે પ્રતિવર્ષ પલ્લી નિકળે છે.