![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/04/content_image_d7dcecce-33f5-4672-990c-62dac6e8190f.jpeg)
હિંમતનગરમાં ઇસમો 18 લાખનું અનાજ મંગાવી મીલ સળગાવી ફરાર
હિંમતનગરના વેપારી સાથે જયપુરના ઇસમોએ ભેગા મળી 18 લાખની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે. ફેબ્રુઆરી મહિનામાં જયપુરના ઇસમોએ 18 લાખના મગનો જથ્થો મંગાવ્યો હતો. જોકે અગાઉ પણ આવી રીતે માલની લેવડ-દેવડ થઇ હોવાથી વેપારીએ વિશ્વાસ આવ્યો હતો. જે બાદમાં ઇસમોએ પૈસા નહીં આપતાં ખબર પડી હતી કે, ઇસમોએ પોતાની મીલમાં જાતે આગ લગાડી ક્યાંક ભાગી ગયા છે. જેથી વેપારીને છેતરાયાનું ભાન થતાં હિંમતનગર એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે સંજરી ટ્રેડિંગ ચલાવતાં મોહમંદ ઇલીયાસ જખવાલા સાથે 18 લાખની છેતરપિંડી થયાનું સામે આવ્યુ છે. ચાલુ વર્ષે 8 ફેબ્રુઆરીના રોજ સાબુ સુપર એડીબલ્સ પ્રા.લી. જયપુરના દલાલ બાલાજી ટ્રેડીંગ કંપનીએ અનાજ કઠોર મગ બેગ 269 કિ.રૂ.18,05,700નો ઓર્ડર આપ્યો હતો. જોકે અગાઉ પણ માલની લે-વેચ થયેલ હોઇ વેપારીએ માલ જયપુર મોકલી આપ્યો હતો. જે બાદમાં કન્ડીશન મુજબ 8 દિવસમાં પેમેન્ટ નહીં મળતાં વેપારીનો પુત્ર જયપુર પહોંચતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
સાબુ એડીબલ્સ પ્રા.લી.જયપુરના માલિક બીજયકુમાર સાબુ, મોહીત સાબુ અને બબીતાદેવી સાબુ પોતાની મીલને આગ લગાડી ક્યાં ભાગી ગયા હોવાનું સામે આવ્યુ છે. જેથી ફરીયાદીના પુત્રને ફોન કરતાં તેમનો નંબર પણ બંધ આવતો હોઇ પોતે છેતરાયાનું ભાન થયુ હતુ. જે બાદમાં વેપારીનો પુત્ર પરત આવી જતાં વેપારીએ 3 ઇસમના નામજોગ હિંમતનગર A ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમો સામે આઇપીસી કલમ 406, 420, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.