અમદાવાદથી અયોધ્યા જતા 5500 કિલોના ધ્વજા દંડ સાબરકાંઠાની સરહદમાં પ્રવેશતા દર્શન અને સ્વાગત માટે ભક્તો ઉમટ્યા
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા મહોત્સાવને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદથી અયોધ્યા ધ્વજા દંડને વાહનમાં લઇ જવામાં આવ્યો હતો. જેને લઈને રસ્તામાં સ્વાગત માટે ઠેર-ઠેર ભક્તોની અને શ્રદ્ધાળુઓની પડાપડી જોવા મળી હતી.અમદાવાદના ગોતા અંબિકા એન્જિનિયરિંગ વર્કસ કંપનીમાં તૈયાર થયેલા ધ્વજ દંડ 5500 કિલોનો બનાવવામાં આવેલો છે. જે એક ટ્રકમાં ગઈકાલે સાંજે અમદાવાદથી અયોધ્યા જવા નીકળ્યો હતો. જેને લઈને રસ્તામાં ઠેર-ઠેર ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા સ્વાગત માટે પડા પડી જોવા મળી હતી. તો સાબરકાંઠાની સરહદમાં પ્રવેશતા નેશનલ હાઈવે 48 પર મજરા થઈને પ્રાંતિજ શુક્રવારે રાત્રે ટ્રક આવી પહોંચ્યો હતો. જેને લઈને પ્રાંતિજમાં ભક્તો દ્વારા દર્શન કરવા અને સ્વાગત માટે અને તેને પોતાના મોબાઈલમાં કેદ કરવા માટે પડાપડી જોવા મળી હતી.
આ ટ્રક ટ્રાફિક પોલીસના પાયલોટિંગ દ્વારા પ્રાંતિજથી હિંમતનગર તરફ આવ્યું હતું. જ્યાં રોડ પર સમાચાર મળતાની સાથે રોડ પર ભક્તો જોવા માટે આવી પહોંચ્યા હતા. ટ્રકની ચારે તરફ લોકો રોડ પર જયશ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. થોડા દિવસ પહેલા જ 108 ફૂટ લાંબી અગરબત્તી પણ ટ્રકમાં લઇ જવામાં આવતા ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે પ્રાંતિજ વાસીઓ ગત રાત્રિએ પણ ભક્તો ધ્વજા દંડના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.