હિંમતનગરમાં ચોરીના પંખા રિક્ષામાં લઈને વેચવા જતા બે શખ્સોને બી-ડિવિઝન પોલીસે ઝડપી લીધા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આરટીઓ ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાંથી ત્રણ દિવસ પહેલા 21 પંખાની ચોરી થઈ હતી. ચોરીના પંખા રિક્ષામાં લઈને વેચવા જતા બે શખ્સોને બી-ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. કોર્ટમાં રજૂ કરતા બે શખ્સો જામીન પર છૂટી ગયા હતા.
આ અંગેની વિગત એવી છે, હિંમતનગરના હજીપૂરા વિસ્તારમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા રફીકભાઈ ઇલેક્ટ્રિકનો સરસમાન આરટીઓ ચાર રસ્તા પાસે આવેલી તનિષ્ક બંગલોઝમાં આવેલા ઘરમાં મૂકી રાખે છે. જ્યાં ત્રણ દિવસ પહેલાં બે શખ્સોએ જાળી તોડી અંદરથી 21 પંખા ચોરી કરી હતી. આ અંગે ચોરીની ફરિયાદ નોંધાઈ નથી.
બીજી તરફ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમી આધારે ધાણધા રેલવે ફાટક પાસે ચોરીના 21 પંખા રિક્ષામાં વેચવા જતા મોઇન મુનવરખાન શેખ, શકીલ મહેમુદભાઈ પઠાણ (હુસેની ચોક,છાપરિયા, હિંમતનગર)ને ઝડપી લીધા હતા. પુછપરછ કરતા તેમને તનિષ્ક બંગલોઝમાંથી પંખા ચોરી કરેલાનું કબૂલ્યું હતું. પોલીસે બંને શખ્સોને રીક્ષા સહિત રૂ. 1,67,680નો મુદ્દામાલ કબજે લીધો હતો. ત્યાર બાદ કોર્ટમાં રજૂ કરતા તેમના જામીન મંજૂર થયા હતા.