![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-139.jpg)
ખેડબ્રહ્મામાં વણજ જળાશયની કેનાલમાં અચાનક ગાબડું પડ્યું
સાબરકાંઠા જીલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જીલ્લાના જળાશયોમાં પાણીની આવક નોધાઇ હતી તો ખેડબ્રહ્માના કરુંડા પાસે કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરમાં ફરી વળ્યું હતું.
24 કલાકમાં જીલ્લામાં 2 મીમીથી 22 મીમી વરસાદ નોધાયો હતો. 8 માંથી 7 તાલુકામાં વરસાદ નોધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ વિજયનગરમાં 22 મીમી તો સૌથી ઓછો તલોદ અને પ્રાંતિજમાં 02-2 મીમી નોધાયો હતો. તથા સમગ્ર જીલ્લામાં દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ઉપરવાસમાં વરસાદને લઈને જીલ્લાના જળાશયોમાં પાણીની આવક નોંધાઇ હતી. તો હાથમતીમાં 600 કયુસેક, હરણાવમાં 200 કયુસેક, ખેડવામાં 230 કયુસેક અને જવાનપુરા બેરેજમાં 332 કયુસેક પાણીની આવક નોધાઇ હતી.
ખેડબ્રહ્માના કરુંડા પાસે આવેલ વણજ જળાશયની કેનાલમાં રાત્રી દરમિયાન અચાનક ગાબડું પડ્યું હતું. જેને લઈને આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા. જેથી વાવેતર કરાયેલ પાકમાં નુકશાન જવાની ભીતિ સર્જાઈ છે. આ અંગે વણજ જળાશયના કે.યુ.ડામોરે જણાવ્યું કે, વણજ કેનાલમાં 300 કયુસેક પાણી ચાલી રહ્યું હતું દરમિયાન રાત્રે કરુંડા પાસે ગાબડું પડી ગયું છે. જેથી પાણી બંધ કરવામાં આવ્યું છે અને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.