![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-316.jpg)
હિંમતનગર-ઇડર સુધીનો 8.7 કિમીનો બાયપાસ રૂ. 69 કરોડના ખર્ચે ચારમાર્ગીય બનશે
હિંમતનગરના મોતીપુરાથી ઇડર બાયપાસ પર હાથમતી નદી પરનો સાંકડો બ્રીજ હોવાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને પુલ પરથી ચાલીને તો પસાર થઇ શકાતું નથી. તો ચોમાસામાં રોડ પર ખાડા પડી ગયા છે તો પુલ પર પણ ખાડા થઇ ગયા છે. બાયપાસ રોડ ટ્રાફિક સમસ્યા દુર કરવા બનાવ્યો હતો, પરંતુ હાલમાં તે રોડ અને પુલ પર ટ્રાફિક જામ થવાના દ્રશ્યો જોવા મળે છે. વરસાદી પાણી ભરાય ત્યારે વાહન ચાલકો પરેશાન થાય છે. રોડ પર મસમોટા ખાડા પડી જવાને લઈને શારીરિક અને આર્થિક નુકશાન વેઠવાનો વારો વાહનચાલકોનો આવે છે. તો આ અંગે GSRDCના DE આર.કે.પટેલે જણાવ્યું હતું કે વરસાદને લઈને રોડ પર અને પુલ પર પડી ગયેલા ખાડાનું સમારકામ શરૂ કરી દેવાયું છે. તો સાથે ડામરના પેચ કરી રીપેરીંગ કામ શરૂ કરાશે, જેને લઈને વાહન ચાલકોને તકલીફ નહિ પડે.
હિંમતનગરથી ઇડર બાયપાસ રોડ હવે ફોરલેન રોડ બનશે અને હાથમતી નદી પરનો 140 મીટર લાંબો બ્રીજ ફોરલેન બનશે. તો બ્રીજ પણ ફૂટપાથ સાથેનો બનશે. જેને લઈને ટ્રાફિક સમસ્યા નહિ સર્જાય તો બ્રીજ પરથી ફૂટપાથ પર ચાલતા પણ પસાર થઇ શકાશે. તો હિંમતનગરના મોતીપુરાથી વીરપુર સુધી 8.7 કિમી ચારમાર્ગીય રોડ 69 કરોડના ખર્ચે બનશે. રોડની બંને સાઈડ 6 કિલોમીટર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન પણ બનશે. જેને લઈને રોડ પર ક્યાંય પાણી ભરાશે નહિ અને ડ્રેનેજમાં થઇ નીકળી જશે. તો ચારમાર્ગીય રોડ પર ટોલ પ્લાઝા પાસે શૌચાલય પણ બનશે. આ ચારમાર્ગીય રોડની ટેન્ડરીંગ પ્રક્રિયા પ્રગતિમાં છે. તો ટૂંક સમયમાં ખાત મૂહર્ત થશે અને આગામી એકથી દોઢ વર્ષમાં ચારમાર્ગીય રોડ બની જશે. તો 69 કરોડ ચાર માર્ગીય રોડ જેમાં અંદાજીત 15 કરોડનો 140 મીટરનો ફૂટપાથ સાથેનો બ્રીજ બનશે.