વિજયનગરના સારોલીના જંગલમાં ઢોર ચરાવવા ગયેલા પશુપાલક પર રીંછે હુમલો કરતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે પ્રથમ વિજયનગર રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર લઈ જવાયો હતો. નોર્મલ રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર ઘાયલ પશુપાલક ને વન વિભાગના નિયમો અનુસાર આર્થિક સહાય ચૂકવાશે.
સારોલીના કાંતિભાઈ સળુભાઈ ખરાડી પોતાના નિત્યક્રમ મુજબ બપોરે પોતાના પશુ લઈને સારોલીની સીમમાં આવેલા જંગલ સર્વે નંબર 74માં પશુ ચરાવવા ગયા હતા. જ્યાં તેઓ પશુઓને ચરાવતા હતા તે સમયે જંગલી રીંછે ઓચિંતો તેમના પર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી લોહીલુહાણ કરી દીધા હતા. જે સમયે કાંતિભાઈએ બૂમાબૂમ કરતાં અને અન્ય પશુપાલકો દોડી આવતાં રીંછ ત્યાંથી ભાગી ગયું હતું. જે બાદ કાંતિભાઈને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વિજયનગરની રેફરલ હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડ્યા હતા. વધુમાં કાંતિભાઈને વન વિભાગ દ્વારા વન વિભાગ ના નિયમો અનુસાર મળવા પાત્ર આર્થિક સહાય ચૂકવવાની દરખાસ્ત પણ તૈયાર કરી દેવાઇ છે.

