નવીન પ્રમુખ તરીકે પીયૂષભાઈ રાવલ અને મંત્રી તરીકે વિનોદભાઈ નાઈની વરણી કરાઈ
પાલનપુર તાલુકાના ગઢ પંથકના ગામોમાં છેલ્લા 27 વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ થકી સેવાની સુવાસ ફેલાવતી સ્વૈચ્છિક સંસ્થા રોટરી સેવાદળ ગઢ ના નવીન પ્રમુખ,મંત્રી સહિત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાઈ ગયો.પાલનપુરના ગઢ સ્થિત માણેકબા હોલમાં રોટરી સેવાદળ ગઢના પદગ્રહણ સમારંભના મુખ્ય મહેમાન પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, અતિથિ વિશેષ ડો.સુનિલભાઈ મણુંદરા, મગનભાઈ બાજરીયા,અને ખાસ આશીર્વચન આપવા ઉપસ્થિત રહેલ કથાકાર ડો.કૃણાલભાઈ જોષી સહિત અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કર્યા બાદ કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો હતો.શાબ્દિક પ્રવચન ગત વર્ષના પ્રમુખ નાનજીભાઈ કણેરે કર્યું હતું. અને મહેમાનોનું બાળતરું આપીને સન્માન કરાયું હતું.ઉપસ્થિત મહેમાનોએ શાબ્દિક પ્રવચન કર્યું હતું.
ગત વર્ષ દરમિયાન 75 લાખથી વધુ આવેલ આર્થિક ફંડથી વર્ષ દરમિયાન કરેલ કાર્યક્રમોની કામગીરીનો અહેવાલ મંત્રી અશોકભાઈ પટેલે આપ્યો હતો.ત્યાર બાદ ઈન્સ્ટોલેશન ઓફિસર અશોક મંગલ દ્વારા નવીન પ્રમુખ પીયૂષભાઈ રાવલ અને મંત્રી વિનોદભાઈ નાઈ શપથ લેવડાવ્યા હતાં.ત્યારબાદ ગત વર્ષના પ્રમુખ અને મંત્રીએ દાતાઓ અને બેસ્ટ પ્રોજેકટ ચેરમેનોનું સન્માન કર્યું હતું.અને નવીન પ્રમુખ મંત્રીને ચાર્જ સોંપ્યો હતો.જ્યાં એક પેડ મા કે નામ કાર્યક્રમ ના પ્રોજેકટ ચેરમેન દેવજીભાઈ કણેર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર 400 જેટલા મહેમાનોને બાળતરુંઓનું વિતરણ કરાયું હતું.અંતે આભારવિધિ વિનોદભાઈ નાઈએ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રજનીભાઇ જોશી અને ભીખાભાઇ વોરાએ કરી હતી.અંતે રાષ્ટ્રગાન બાદ સ્વરૂચી ભોજન બાદ સૌ છુટા પડયા હતાં.

