મહેસૂલી કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ જતાવ્યો : બનાસકાંઠાના મહેસુલી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર કલેક્ટર કચેરીના મહેસૂલી કર્મચારીઓએ પોતાની લાંબા સમયથી પડતર માગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ જતાવ્યો હતો.મહેસુલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલી, પ્રમોશન સહિતની પડતર માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ રહી છે. પહેલા સરકારે માગણીઓ સંતોષવાની બાંહેધરી આપી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર સ્થિત કલેકટર કચેરી ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. અને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
મહેસૂલી કર્મચારીઓએ ચેતવણી આપી છે કે, જો તેમની માગણી ઓનું નિરાકરણ નહીં આવે તો આગામી 30 એપ્રિલના રોજ સામૂહિક રીતે કેઝ્યુઅલ લીવ (સીએલ) પર ઉતરી જશે. આ પગલાંથી મહેસૂલી કામગીરી પર અસર પડવાની શક્યતા છે.


