રહીશોએ મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી
પાલનપુરના આકેશણ રોડ પર પાંચથી વધુ સોસાયટીને જોડતા રોડનું કાર્ય ગોકળગતિએ ચાલતા સોસાયટીના રહીશો રોષે ભરાયાં છે. અને કોન્ટ્રાક્ટર ના કાર્યને લઈને નગરપાલિકાના કોર્પોરેટરો ને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા રહીશોએ મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પાલનપુરના આકેશણ રોડ પર પાંચ જેટલી સોસાયટીઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે. જેને જોડતો રોડ પર દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહે છે. જ્યાં છેલ્લા 15 દિવસથી રોડ પર અંડર ગ્રાઉન્ડ ગટર, પાણીની પાઈપ લાઈન અને ખાનગી કંપની સહિતના કાર્યોને લીધે રોડ ખોદાયા બાદ સમાર કામમાં વિલંબ થતાં રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે તે બાબતે વિસ્તારના સ્થાનિક રહીશ અંકિતભાઈ એ વિસ્તારના નગરસેવક અને રોડના કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા તેમને જણાવેલ કે રોડ પર મુખ્ય રોડથી અંદર આવતા માર્ગ ઉપર નવીન પાઇપલાઇન સોસાયટી સુધી નાખવામાં આવી હતી. જે પાઇપ લાઇનમાં લીકેજ હોવાના કારણે તેનું સમારકામ હાથ ધરી તેનું ઓબ્ઝર્વેશન કરી લીકેજ સંપૂર્ણ બંધ થયા બાદ રોડનું કાર્ય હાથ ધરવામાં આવશે અને રોડ પર ખાનગી કંપની ના વાયર માટે એક ચેમ્બર બની રહી છે જેના કારણે રોડનું કામ અટકેલ છે.
રોડનું કાર્ય માં વિલંબ થતાં રહીશો દ્વારા પાલિકાના સત્તાધીશો વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તેમના દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો લીધે વિસ્તાર નાગરિકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. એક સોસાયટી દ્વારા તેનું દુષિત પાણી દીવાલમાંથી તોડી સોસાયટી ની બહાર નીકળવામાં આવે છે. જેને કારણે આ રોડ વારંવાર તૂટે છે. સોસાયટી દ્વારા ઠાલવવામાં આવતું પાણી રોડ પર દૂર સુધી વહે છે જેના કારણે રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. રસ્તા પરથી ચાલીને જતા લોકો ને પસાર થવામાં હાલાકી ભોગવવી પડે છે. પાણીથી મચ્છર પેદા થતા હોવાથી મચ્છર જન્ય રોગ થવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને રોડ પર આવેલ સોસાયટીના રહીશો દ્વારા આ પાણી તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ ઉઠી છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લઈ કાર્યવાહી નહીં કરાય તો રહીશો દ્વારા મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવશે તેમ ચીમકી ઉચ્ચારી હતી.

