પાંચ દિવસમાં કામ શરૂ નહીં કરવામાં આવેતો ગાંધીનગર સુધી રજુઆત કરવાની ચિમકી; પાટણ શહેરના હાંસાપુર રોડ પર રોટલીયા હનુમાન મંદિર નજીક આવેલી આયુષ ટાઉનશિપમા સીસી રોડના અધૂરા કામથી રહીશો પરેશાન છે. જનભાગીદારીથી સીસી રોડ બનાવવા માટે સોસાયટીના રહીશોએ પૈસા ભર્યા હતા. કોન્ટ્રાક્ટરે જેસીબીથી અધૂરો રોડ તોડીને કામ અટકાવી દીધું હતું.
રહીશોએ ટ્રેક્ટર લઈને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલની હાજરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તૂટેલા રોડને કારણે વૃદ્ધો અને બાળકો સહિત રહીશો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રજૂઆતને પગલે ચીફ ઓફિસરે ગુરુવારથી કામ શરૂ કરવાની ખાતરી આપી છે. સોસાયટીના રહીશોએ જણાવ્યું કે જો ગુરુવાર પછી કામ શરૂ નહીં થાય તો પ્રાંત કચેરી અને ગાંધીનગર સુધી આ મામલે રજૂઆત કરવામાં આવશે.