ગઢને તાલુકાના દરજ્જાથી વંચિત રખાતા ગ્રામજનોમાં નારાજગી

ગઢને તાલુકાના દરજ્જાથી વંચિત રખાતા ગ્રામજનોમાં નારાજગી

સૌથી મોટા ગઢ ગામને તાલુકો બનાવવાની ત્રીસ વર્ષ જુની માંગ અધ્ધરતાલ

ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતા ગઢને તાલુકો બનાવવામાં ન આવતા પંથકમાં નારાજગી છવાઈ

સરકાર દ્વારા રાજ્યમાં નવા 17 તાલુકા જાહેર કરવામાં આવ્યા.જેમાં બનાસકાંઠા જિલ્લામા નવા ચાર તાલુકાની ભેટ આપવામાં આવી છે પરંતુ પાલનપુર તાલુકાના સૌથી મોટા ગામનો દરજ્જો ધરાવતા તેમજ નવાબી તહેશિલ એવા ગઢ ગામને તાલુકાના દરજ્જાથી વંચિત રાખવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે જોકે તમામ માળખાકીય સુવિધાઓ ધરાવતા ગઢ ગામને તાલુકો બનાવવા છેલ્લા ત્રીસ વર્ષથી માંગ કરાઇ રહી છે .જે માંગની અવગણના કરવામાં આવતા ગઢ પંથકમાં નારાજગી ફેલાઈ છે. પાલનપુરમાં જ્યારે નવાબી શાશન હતું ત્યારે ગઢ ગામને તહેશિલનો દરજ્જો આપવામાં આવ્યો હતો અહી પ્રાથમિક શાળાથી લઇ કોલેજ સુધીની સુવિધાઓ તેમજ આજુબાજુના પચીસથી વધુ ગામના લોકો વેપાર ધંધાથી ગઢ ગામે સાથે સંકળાયેલા છે અહી વીજ કચેરી,સ્વતંત્ર પોલીસ મથક ,દાંતીવાડા સિંચાઈ કચેરી,ઉત્તર ગુજરાત વીજ કચેરી,સહકારી સંસ્થા માળખાકીય સુવિધાઓ હોવા છતાં આ વિસ્તારના લોકોને સરકારી કામ અર્થે પાલનપુરના ચકકર કાપવા પડતા હોઇ લોકોને પૈસાની સાથે સમયનો વ્યય થઇ રહ્યો છે જેને લઇ ગઢ ગામને તાલુકાનો દરજ્જો આપવા છેલ્લા 30 વર્ષોથી માંગ કરાઈ રહી છે.

જેમાં અગાઉ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા સહિત મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યને અનેકવાર લેખિત તેમજ મોખીક રજૂઆતો કરવામાં આવેલી છે તેમજ અગાઉ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ ગઢને તાલુકાનો દરજ્જો આપવામાં સર્વાનુમતે ઠરાવ કરાયો હતો તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તાલુકાઓની ફાળવણીમાં ગઢને તાલુકાના દરજ્જાથી વંચિત રાખવામાં આવતા ગઢ પંથકના લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે જોકે ગઢ ગામના અગ્રણી દેવાભાઇ સાલવીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિના વિલંબે ગઢને તાલુકો જાહેર કરવામાં નહિ આવે તો અગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

ગઢ તાલુકાના સંભવિત ગામોની દરખાસ્ત તૈયાર કરાઇ હતી

ગઢ ગામને તાલુકો જાહેર કરવા વારંવાર ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆતો થતા તેમજ જિલ્લા પંચાયતની સાધારણ સભામાં પણ ગઢને તાલુકાનો દરજ્જો આપવા માટે સર્વ સંમતિથી ઠરાવ પસાર કરવામાં આવતા તંત્ર દ્વારા ગઢને તાલુકાનો દરજ્જો આપવામાં પાલનપુર તેમજ સરસ્વતી તાલુકાના 25 જેટલા ગામોનો સમાવેશ કરતી દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. તે પણ છેલ્લા કેટલાક વર્ષોથી ધૂળ ખાઇ રહી છે

  ચૂંટણી સમયે આપેલા વાયદા વચનો રાજકીય નેતા ભૂલી ગયા

બનાસકાંઠા જિલ્લામા લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ગઢ ગામે પ્રચારમાં આવતા ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓને ગઢને તાલુકો જાહેર કરવા અનેકવાર રજૂઆતો કરવા આવી છે. પરંતુ ચૂંટણી પતિ ગયા બાદ આ નેતાઓને ગઢને તાલુકો બનાવવામાં કોઈ રસ ન હોય તેમ ચૂંટણીમાં આપેલ વચનો ભૂલી જતા નેતાઓની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ ફેલાયો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *