પાણી ઓસર્યા બાદ ધોવાઇ ગયેલા રોડ રસ્તાનું સમારકામ હાથ ધરાશે : ગામલોકોને હાલાકી
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક વાવ,થરાદ અને સૂઇગામ તાલુકામાં 17 ઇંચ વરસાદ પડવાને લઇ આ વિસ્તારમાં પુરની પરિસ્થિતિ સર્જાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક ગામોને જોડતા રોડ -રસ્તા વરસાદી પાણીથી ધોવાઇ જતા તૂટી ગયા હતા. જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જોકે વરસાદના વિરામ બાદ કેટલાક માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણીના પ્રવાહને લઇ જુદા જુદા છ માર્ગોનું સમારકામ થઇ શક્યું નથી. જેને લઇ આ ગામોના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
વાવ, થરાદ અને સૂઇગામ મા ગત તાં.7 અને 8 સપ્ટેમ્બરના રોજ 17 ઇંચ જેટલો ભારે વરસાદ પડતાં આ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેને લઇ લોકોને ભારે જાન માલનું નુકશાન થવા પામ્યું હતું આ વરસાદને લઇ જુદા જુદા 44 રોડ રસ્તા ધોવાઇ તેમજ તૂટી જતા અનેક ગામડા વિખૂટા પડ્યા હતા. બાદમાં વરસાદે વિરામ લેતાં જિલ્લા પંચાયત અને સ્ટેટ માર્ગ મકાન વિભાગ દ્વારા 38 રોડ રસ્તાનું સમાર કામ કરવામા આવ્યું છે પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણીના પ્રવાહને લઇ વાવ તાલુકામાં બે,થરાદ તાલુકાના બે અને સૂઇગામ તાલુકામાં બે મળી કુલ 6 રોડ રસ્તા તૂટેલી હાલતમાં છે. જ્યા પાણી બંધ થઈ ગયા બાદ આ રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવશે. જોકે આ તુટેલા માર્ગોને લઇને અસરગ્રસ્ત ગામોના લોકો માટે અન્ય માર્ગોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.તેમ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. પરંતુ જ્યા સુધી રોડનું સમારકામ કરવામા નહિ આવે ત્યાં સુધી આ ગામોના લોકોને એક ગામથી બીજા ગામ જવા માટે અનેક હાલાકી વેઠવી પડી રહી છે.
કયા ગામોના રોડ તૂટેલી હાલતમાં છે ?
1 વાવ તાલુકામાં માડકાથી દેથળી રોડ
2 વાવ તાલુકામાં ડેડાવા, ભાટવર, ખરડોલ, આસાસણ રોડ
3 થરાદ તાલુકામાં ભાચરથી લેડાઉ રોડ
4 થરાદ તાલુકામાં વડગામડાથી ઝેટા રોડ
5 સૂઇગામ તાલુકામા બેણપથી દેવપુરા રોડ
6 સૂઇગામ તાલુકામાં માડપરા હરસદ રોડ

