મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના કબ્જા વાળી ગૌચર જમીન ખાલી કરાવાઈ
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે પોલીસ વાન પર હુમલા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ગૌચરની જમીન પર બનેલા ગેરકાયદેસરના રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવાની શરૂઆત થઈ ગઈ છે.
આ ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં આવી રહી છે. આ ઘટના થોડા સમય પૂર્વે પોલીસ વાન પર થયેલા હુમલાના પગલે બની છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 18 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ હુમલા બાદ વહીવટી તંત્રએ કાયદો અને વ્યવસ્થાને પડકારનારા તત્વો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તપાસમાં સામે આવ્યું હતું કે ભાવેશ રબારીએ ચાણસ્મા પંથકમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને ફાર્મ હાઉસનું નિર્માણ કર્યું હતું. આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા શુક્રવારે સાંજે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં અનેક જેસીબી મશીનો દ્વારા ફાર્મહાઉસના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. ગુનેગારોના આર્થિક સામ્રાજ્ય અને ગેરકાયદેસર મિલકતો પર તંત્ર દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત યથાવત છે અને દબાણ હટાવવાની પ્રક્રિયા બે જેસીબી મશીન દ્વારા ગેટ અને દીવાલ તોડવાની કામગીરી કરવામાં આવી હતી.

