લાખણી તાલુકાના તળાવોમાં જળ સંચય માટે બનાવેલા રિચાર્જ બોર શોભાના ગાંઠિયા સમાન

લાખણી તાલુકાના તળાવોમાં જળ સંચય માટે બનાવેલા રિચાર્જ બોર શોભાના ગાંઠિયા સમાન

લાખોના ખર્ચે બનેલા રીચાર્જ બોરમાંથી ભૂગર્ભમાં પાણી ઉતારવાની સુવિધા નહિવત; લાખણી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા તળાવોમાં પંચાયત સિંચાઇ વિભાગ પાલનપુર દ્વારા બનાવવામાં આવેલા  રિચાર્જ બોરની આજુબાજુમાં ભૂગર્ભમાં પાણી ઉતારવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહિ કરવામાં આવતા લાખોના ખર્ચે બનેલા રિચાર્જ બોરનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે.

લાખણી તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારીમાં ભૂગર્ભ જળ ખલાસ થઈ જતાં સિંચાઇ અને પશુપાલન માટે પાણીની સમસ્યા ગંભીર બની છે .જે બાબતે ધારાસભ્ય કેશાજી ચૌહાણે ભૂગર્ભ જળ ઊંચા આવે અને પાણીની સમસ્યા દૂર થાય એ માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવી છે. જેના ભાગરૂપે લાખણી તાલુકાના ગામડાઓમાં આવેલા તળાવોમાં સુજલામ સુફલામ્ યોજના હેઠળ અંદાજિત ૪૦૦ ફૂટ જેટલા ઊંડા રિચાર્જ બોર કરી તળાવનું પાણી સીધું ભૂગર્ભમાં ઉતારવામાં માટે ખુબં સારું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ગામે ગામ તળાવમાં રિચાર્જ બોર બનાવી દીધા બાદ તળાવનું પાણી ભૂગર્ભમાં ઉતારવા માટે રિચાર્જ બોર આજુબાજુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કે સુવિધા કરવામાં આવી નથી. જેના કારણે તળાવનું પાણી માટી અને કચરા સાથે રિચાર્જ બોરમાં ઉતરવાથી બોર ફેલ (ચોક અપ) થઈ જશે અને લાખોના ખર્ચે કરવામાં આવેલા બોરનું કોઈ મહત્વ નહિ રહે.જેથી રિચાર્જ બોર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.

અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને ખાલી બિલ પાસ કરાવવામાં રસ; લાખણી તાલુકામાં ગામે ગામ તળાવમાં રિચાર્જ બોર બનાવી કાગળ ઉપર ૧૦૦ ટકા કામગીરી બતાવી સાંઠ ગાંઠથી બિલ પાસ કરાવવામાં લાગી જાય છે પરંતુ રિચાર્જ બોર જે કાર્ય માટે કરવામાં આવ્યો છે એ વ્યવસ્થા કરવામાં કોઈને રસ નથી.ભૂગર્ભ જળ રિચાર્જ કરવા લાખોના ખર્ચે બોર બનાવી દીધા છે. પરંતુ એ બોરમાં વરસાદનું પાણી કેવી રીતે ઉતરવાથી બોરનું ભવિષ્ય જળવાઈ રહે અને વર્ષો વરસ  પાણી ભૂગર્ભમાં ઉતરે એની અધિકારીઓને કે કોન્ટ્રાક્ટરોને કોઈ જ ચિંતા નથી.તેવા લોકોએ આક્ષેપ કર્યા હતા.

સરકારની ઉમદા કામગીરીનો ફિયાસ્કો; ધારાસભ્ય કેશાજી ચૌહાણના પ્રયત્નો અને માંગણી સામે સરકારે ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગામે ગામ તળાવમાં રિચાર્જ બોર બનાવવા માટે લાખો -કરોડોની ગ્રાન્ટ ફાળવી છે. જે કામગીરી પંચાયત સિંચાઇ વિભાગ પાલનપુરનાં અધિકારીઓની દેખ રેખ હેઠળ કરવા માટે સરકારે આયોજન કર્યું છે. જેમાં રિચાર્જ બોરની કામગીરીમાં ક્ષતિઓ જણાઈ રહી છે અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવાના બહાને લોકોને છેતરવામાં આવી રહ્યા છે.તેથી આવી કામગીરીથી લોકો સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જેના માટે જવાબદાર કોણ છે? એની તપાસ થવી જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *