બનાસકાંઠામાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બન્યો છે. પાલનપુરમાં ભારે ગાજવીજ અને વાવાઝોડા વચ્ચે વરસાદ પડતાં કેરી અને સક્કરટેટીના પાકને ભારે નુકસાન થયું હતું. પાલનપુર પંથકમાં કમોસમી માવઠું ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યું છે. મેઘ ગર્જના અને ભારે આંધી વચ્ચે થયેલા વરસાદથી 500 કેસર કેરીના આંબાની કેરીઓ જમીન પર ખરી પડી હતી. આંબાવાડી ઉધડ રાખનાર વિશાલભાઈ પટણીએ જણાવ્યું કે, તેમણે 8 લાખ રૂપિયા ચૂકવીને આંબાવાડી ઉધડ રાખી હતી. તેમને આશા હતી કે આ સીઝનમાં 15 લાખ રૂપિયાની કેરીઓનું વેચાણ થશે. આંબા પર કેરીઓનો પાક સારો હતો. પરંતુ ભારે પવન સાથેના વરસાદે બધી કેરીઓ ખેરવી નાખી છે.
હવામાન વિભાગની આગાહી બાદ બનાસકાંઠાના થરાદ, ડીસા, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, વડગામ અને પાલનપુરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદે બાજરી, જુવાર, શક્કરટેટી જેવા ઉનાળુ પાકોને પણ નુકસાન પહોંચાડ્યું છે.
સક્કરટેટીના પાક ને પણ ભારે નુકસાન; પાલનપુર પંથકના ખેડૂતે જણાવ્યું હતું કે, તેમણે 18 વીઘા માં સક્કરટેટીનું વાવેતર કર્યું હતું. આ પાકમાં પહેલેથી જ ઠંડીના કારણે માત્ર 25 ટકા જેટલો જ માલ લાગ્યો હતો. હવે કમોસમી વરસાદના કારણે બચેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે. વરસાદના કારણે સક્કરટેટી કોહવાઈ જવાનું જોખમ ઊભું થયું છે. ખેડૂતના જણાવ્યા મુજબ આ નુકસાનથી તેમને આશરે 8થી 10 લાખ રૂપિયાની ખોટ જાય તેમ છે. ખેતીમાં કરેલો ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ નથી. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગણી કરી છે.