1લી જૂન સુધીમાં માંગ નહિ સંતોષાય તો અમદાવાદમાં મહારેલીની ચીમકી; રાજ્યની પ્રાથમિક શાળા ઓમાં 1984 થી પી.એમ.પોષણ યોજના તળે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી છે. જેના ખાનગીકરણની હિલચાલ સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના તળે સ્થળ પર જ કિચન શેડમાં રાંધીને બાળકોને તાજો રાંધેલો ખોરાક આપવામાં આવી રહ્યો છે. જોકે, સરકાર દ્વારા તેનું ખાનગીકરણ કરવાની હિલચાલ સામે મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા કર્મીઓએ અવાજ ઉઠાવ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતા જિલ્લા કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. જેમાં ખાનગીકરણ નહિ કરવાની માંગ કરાઈ હોવાનું ગુ.રા.પી.એમ.પોષણ પ્રતિનિધિ મંડળના મુખ્ય પ્રદેશ પ્રતિનિધિ, રમેશ કામલિયાએ જણાવ્યું હતું.
એકબાજુ સરકાર મહિલા અનામતના બણગાં ફૂંકી રહી છે. તો બીજીબાજુ ખાનગીકરણ કરી 70,000 જેટલી મધ્યાહન ભોજન યોજના ની બહેનોની રોજીરોટી છીનવવા જઈ રહી છે. વળી, ખાનગીકરણ થતા એન.જી.ઓ દ્વારા બાળકોને વાસી ખોરાક મળશે. જેથી તાજો રાંધેલો ખોરાક આપવાની યોજના નો હેતુ જ માર્યો જશે. ત્યારે મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ નહિ કરવાની માંગ મહિલા સંચાલકો કરી રહી હોવાનું વડગામ તાલુકાના રૂપાલ ગામની મહિલા સંચાલિકા જાગૃતિબેન પરમારે જણાવ્યું હતું. જોકે, પહેલી જૂન મજૂર દિન સુધીમાં માંગ નહિ સંતોષાય તો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ અમદાવાદ ખાતે મહારેલી યોજવાની ચીમકી ઉચ્ચારી હતી.


