બેંગલોરથી પાલનપુર આવેલા પિતાને લેવા ગયેલા આશાસ્પદ યુવકને મોત થતાં ચકચાર…!
પાલનપુરમાં અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે અમદાવાદ હાઇવે પર આવેલ રેલવે ઓવરબ્રિજ ના છેડે એક્ટીવા સ્લીપ ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક આશાસ્પદ યુવકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે મૃતક યુવક પરિવારનો એકનો એક પુત્ર હતો અને તેને ધો.12 સાયન્સમાં 85 ટકા મેળવ્યા બાદ અમદાવાદની કોલેજમાં એડમિશન લીધું હતું.
પાલનપુરને અકસ્માતોનુ ગ્રહણ લાગ્યું હોય તેમ એક બાદ એક એક ગોઝારા અકસ્માતમાં નિર્દોષ જીદંગીઓનો ભોગ લેવાય રહ્યો છે જે વચ્ચે બેંગલોર થી આવેલા પિતાને લેવા ગયેલા એક યુવકને કાળ ભરખી જતાં ચકચાર મચી જવા પામી છે મૂળ વડગામ તાલુકાના કોટડી ગામના વતની અને પાલનપુરના બેચરપૂરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ અંબારામભાઇ પ્રજાપતિ ડાયમંડના ધંધાર્થે બેંગલોર રહેતા હોય તેઓ શુક્રવારે ટ્રેનમાં પાલનપુર આવ્યા હતા.
જ્યા લક્ષ્મીપુરા ફાટક પર ટ્રેન ઉભી રહેતા તેઓ નીચે ઉતર્યા હોય તેમનો 18 વર્ષનો પુત્ર સુજલ એક્ટીવા લઈને તેમને લેવા ગયો હતો બાદમાં પરત ફરતી વખતે વિનોદભાઈ એક્ટીવા ચલાવી રહ્યા હતા દરમ્યાન અમદાવાદ હાઇવે પર આવેલ રેલવે ઓવરબ્રિજ પર ગઠામણ પાટીયા તરફના છેડે કોઈ વાહનની ટક્કર થી કે કોઈ અન્ય કારણે એક્ટીવા સ્લીપ ખાઇ જતા 18 વર્ષીય સુજલ પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે વિનોદ ભાઈને શરીરના ભાગે ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ પરિવારના એકના એક આશાસ્પદ યુવકનું મોત થતા પરિવાર માં શોકની કાલિમા છવાઇ જવા પામી હતી.

