પાલનપુરના રેલવે બ્રિજથી હાઇવે સુધીના દબાણો દૂર કરાયા

પાલનપુરના રેલવે બ્રિજથી હાઇવે સુધીના દબાણો દૂર કરાયા

દબાણો ફરી પૂર્વવત થઈ જતા હોઈ નગરજનોએ કવાયતને “નાટક” ગણાવી; બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે. ત્યારે તંત્ર દ્વારા રેલવે ઓવરબ્રિજ થી હાઇવે સુધીના દબાણો દૂર કરાયા હતા.

પાલનપુર શહેરના પ્રવેશ દ્વાર સમાં એરોમાં સર્કલથી રેલવે ઓવર બ્રિજ સુધીના માર્ગ પરની બન્ને બાજુએ સર્વિસ રોડ આવેલા છે. જોકે, આ સર્વિસ રોડ પર દબાણદારોએ અડિંગો જમાવતા ટ્રાફિક સમસ્યા વકરતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે પાલનપુર નગર પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રેલવે ઓવર બ્રિજથી હાઇવે સર્કલ સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

લારી-ગલ્લા-કેબીનો ને નિશાન બનાવાયા; પાલનપુરના રેલવે ઓવર બ્રિજથી એરોમા સર્કલ, કોઝી, લક્ષ્મીપુરા, બેચરપુરા, ન્યુ બસ પોર્ટ રોડ પરના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જોકે, લારી ગલ્લાનાં કે તંબુ બાંધી ફ્રૂટ વેંચતા દબાણદારોના દબાણો ને નિશાન બનાવનાર તંત્ર દ્વારા પાકા દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. તો વળી દબાણ હટાવ્યા પછી બે જ દિવસમાં દબાણો પૂર્વવત થઈ જતા હોઇ દબાણ હટાવ ઝુંબેશ માત્ર પ્રતિકાત્મક બની રહેતી હોઈ નગરજનોએ તેને “નાટક” ગણાવી હતી. જોકે, દબાણ દૂર કરાવવા ટાણે લારી- ગલ્લા અને કેબીનો હટાવી જાણે વાઘ માર્યો હોય તેમ સિંઘમ સ્ટાઇલમાં રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર પાલિકા ના શાસકો વિકાસના કામોમાં ચાલતી ધુપ્પલબાજીની પણ રીલ બનાવે તેવી લાગણી જાગૃત નગરજનોએ વ્યક્ત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *