ડીસા શહેરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભક્તો અને આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેથી શહેરભરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.રથયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે વિવિધ સમિતિઓ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરવામાં આવી રહી છે. રથને શણગારવાની કામગીરી અંતિમ તબક્કામાં છે અને તેને આકર્ષક રીતે સુશોભિત કરવામાં આવી રહ્યો છે. સ્વયંસેવકો દ્વારા રૂટ પર વ્યવસ્થા ગોઠવવા, પાણી અને પ્રસાદ વિતરણ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રથયાત્રાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા પણ રૂટ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. આ ઉપરાંત, ભજન મંડળીઓ અને અખાડાઓ પણ રથયાત્રામાં જોડાવા માટે તૈયારી કરી રહ્યા છે, જે વાતાવરણને વધુ ભક્તિમય બનાવશે.ડીસામાં દર વર્ષે નીકળતી જગન્નાથજીની રથયાત્રા શહેરીજનો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. આ વર્ષે પણ આ ઐતિહાસિક રથયાત્રા ભવ્યતાપૂર્વક ઉજવાય તે માટે સૌ કોઈ કટિબદ્ધ છે.


