ચોરી-છેતરપિંડી રોકવા અને વેપારીઓને સતર્ક રહેવા પોલીસ દ્વારા સૂચના અપાઈ
દિવાળીના તહેવારો નજીક આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કે. જે. ભોંય દ્વારા ચોકસી મહાજન ઝવેરી બજાર એસોસિયેશનની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન સોના-ચાંદીની દુકાનોમાં થતી ભારે ભીડનો લાભ લઈને ચોરી, છેતરપિંડી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાનો અને વેપારીઓમાં સતર્કતા લાવવાનો હતો. પીઆઇ કે. જે. ભોંયએ ઝવેરીઓને જાગૃતતા દાખવીને કોઈપણ ગેંગના સભ્યો કે શંકાસ્પદ વ્યક્તિઓને ઓળખવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય, તો તે વ્યક્તિ દુકાનમાંથી નીકળે તે પહેલાં જ તમામ સોના-ચાંદીના દાગીના અને પૈસાની ચકાસણી કરી લેવી.જો કોઈ શંકાસ્પદ ગતિ વિધિ જણાય, તો તુરંત પોલીસનો સંપર્ક કરવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. પીઆઇ એ ખાતરી આપી હતી કે પોલીસ હંમેશા વેપારીઓની પડખે છે અને કોઈપણ અજુગતી ઘટનાના સંજોગોમાં તાત્કાલિક મદદ માટે તૈયાર રહેશે.
આ પ્રસંગે શ્રી ચોકસી મહાજન એસોસિયેશનના પ્રમુખ દિલીપભાઈ મોદીએ પોલીસ દ્વારા આપવામાં આવેલી તમામ સૂચન અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો.હતો. તેમણે ખાતરી આપી હતી કે, આ તમામ સૂચનાઓની ઝવેરી બજારના તમામ સભ્યોને જાણ કરવામાં આવશે અને તેઓને તહેવારોના સમયગાળા દરમિયાન સતર્ક રહેવા માટે જણાવવામાં આવશે.

