ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણાના ટાઉનહોલ ખાતે વિકાસના વિવિધ પ્રકલ્પોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આવનાર હોઈ તેમજ મહેસાણા મહાનગરપાલિકાનું એક વર્ષ પૂર્ણ થવા નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ હોઈ ભાજપ દ્વારા મુખ્યમંત્રીને રિઝવવાના દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. પરંતુ મહેસાણા શહેર અને જિલ્લામાં વિકાસના નામે જે પ્રમાણે વિનાશ વેરવામાં આવ્યો છે તેનાથી જિલ્લાની જાહેર જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. જે જનતાએ મોટી માત્રામાં મતો આપી ભાજપને જંગી બહુમતીથી જીત હાંસલ કરાવી હતી એજ ભાજપના રાજમા જનતાના હાલ થયેલા જોવા મળે છે.
મહેસાણા મહાનગરપાલિકા બને એક વર્ષ પૂર્ણ થયાંના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જયારે મહેસાણા આવી રહ્યાં છે ત્યારે ભાજપની તાનાશાહી સરકારના અણઘડ નિર્ણયોના વિરોધમાં આમ આદમી પાર્ટીએ હંમેશા જનહિતને સમર્થન આપી જાહેર જનતા માટે લડતી આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મહેસાણાની જનતાના હિતમાં પ્રશ્નો પૂછવા ન જઇ શકે અને સરકારનો વિરોધ ન કરી શકે, તે માટે ભાજપ સરકારે પોલીસને આગળ કરી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મુખ્યમંત્રી સીધી પહોંચે તે પહેલા જ તેમને પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા હતાં. જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ બી ચાવડા, આપ નેતા ભાવેશભાઇ પટેલ, આપના જિલ્લા પ્રવકતા કેતનભાઇ પંડ્યા, યુવા પ્રમુખ સંજયસિંહ ઠાકોર તેમજ શહેર પ્રમુખ અમૃતજી ઠાકોરની અલગ અલગ જગ્યાથી અટકાયત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર એકહથ્થુ તાનાશહી ભર્યું શાસન ચલાવી રહી છે જેમાં નાગરિકોનું ક્યાંય હિત જળવાતું નથી. જાહેર જનતાના હિત માટે આમ આદમી પાર્ટી લડતી આવી છે અને લડત આપતી રહેશે. ભાજપની તાનાશહી સરકારનો આવનારા સમયમાં અંત અને પરિવર્તન નિશ્ચિત છે.

