માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરી ભુજમાં જાહેરસભાને સંબોધન કરશે! વડાપ્રધાન મોદી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લઈ શકે છે
વડાપ્રધાન મોદી મહિનાના અંતમાં તેમના રાજ્ય ગુજરાતની મુલાકાત લે તેવી શકયતા છે. વડાપ્રધાન મોદી કચ્છની મુલાકાતે આવી શકે છે. ૨૬ અથવા ૨૭ મેના રોજ યોજાનારી આ મુલાકાત દરમિયાન તેઓ ભુજની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન મોદી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરે તેવી શકયતા છે. વડાપ્રધાન મોદી માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરવા પહોંચી શકે તેવા અહેવાલો છે.પહેલગામમાં આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી કેમ્પોને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. પાકિસ્તાની સેનાએ કચ્છ અને ભારતીય એરબેઝ સહિત વિવિધ સરહદી જિલ્લાઓમાં ડ્રોન ઘૂસણખોરીનો -યાસ કર્યો હતો, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા સફળતાપૂર્વક અટકાવી દેવામાં આવ્યો હતો.
તાજેતરના તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે.વડાપ્રધાન મોદીની છેલ્લી ગુજરાત મુલાકાત માર્ચમાં હતી. ૧ માર્ચે, તેમણે જામનગરની મુલાકાત લીધી હતી અને રાત્રિ રોકાણ કર્યું હતું. તેમણે રિલાયન્સની વંતારા સુવિધાની પણ મુલાકાત લીધી હતી. ૨ માર્ચે, તેમણે સાસણ ગીરની મુલાકાત લીધી હતી, વન્યજીવન દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી હતી. ૩ માર્ચે, તેમણે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. આ પછી ૭ માર્ચે, વડાપ્રધાન મોદીએ સુરત ફૂડ સિકયુરિટી સેચ્યુરેશન અભિયાનના ભાગ રૂપે સુરતના લિંબાયતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ૮ માર્ચે, તેમણે નવસારીમાં મહિલા દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.જણાવી દઈએ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ બે દિવસની ગુજરાતની મુલાકાતે હતા. રાજનાથ સિંહ શુક્રવારે ભૂજ સ્થિત એરફોર્સ બેઝ પહોંચ્યા હતા. અહીં તેમણે સેનાની હિંમતને સલામ કરી. તેમણે કહ્યું કે, ગુરુવારે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં હતા અને આજે તેઓ અહીં છે. બંને મોરચે સેનાનું ઉચ્ચ મનોબળ જોઈને મને ગર્વ થાય છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન સૈન્ય કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી કાર્યક્ષમતાની પણ પ્રશંસા કરી.અગાઉ મંગળવારે પીએમ મોદીએ પાકિસ્તાનની સરહદથી માત્ર ૧૦૦ કિમી દૂર સ્થિત આદમપુર એરબેઝ પર સૈનિકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કડક સ્વરમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે ભારત તરફ નજર ઉઠાવવાનું પરિણામ તબાહી હશે.

