પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કર્યા બાદ તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “આજે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહજી અને અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખ્યું, “દિલ્હી વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના પરિવાર અને મિત્રો પ્રત્યે હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.”
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને ટ્વિટર પર લખ્યું, “દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ અત્યંત દુઃખદ અને પરેશાન કરનારો છે. આ ખૂબ જ દુઃખદ ઘડીમાં, હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
ગૃહમંત્રી અમિત શાહે ઘટનાની માહિતી આપતા કહ્યું કે, “આજે સાંજે લગભગ 7 વાગ્યે, દિલ્હીના લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર એક હ્યુન્ડાઇ i20 વાહનમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા હતા અને કેટલાક વાહનોને નુકસાન થયું હતું. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર, દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. NSG અને NIA ટીમો, FSL સાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. આસપાસના તમામ CCTV કેમેરા સ્કેન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેં દિલ્હી પોલીસ કમિશનર અને સ્પેશિયલ બ્રાન્ચના પ્રભારી સાથે પણ વાત કરી છે. દિલ્હી પોલીસ કમિશનર અને સ્પેશિયલ બ્રાન્ચના પ્રભારી ઘટનાસ્થળે હાજર છે. અમે બધી શક્યતાઓ પર વિચાર કરી રહ્યા છીએ અને બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ કરીશું. બધા વિકલ્પોની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને અમે પરિણામો જાહેર જનતા સમક્ષ રજૂ કરીશું. હું ટૂંક સમયમાં ઘટનાસ્થળની મુલાકાત લઈશ અને તાત્કાલિક હોસ્પિટલ પણ જઈશ.”

