વરસાદી પાણી ભરવાની સમસ્યાનો ઉકેલ નહિ આવે તો આંદોલનની ચીમકી…!
નાળામાં પાણી ભરાઇ જવાને લઇ પંદરથી વીસ ગામના લોકો મુશ્કેલીમાં મુકાય છે.
પાલનપુરમાં વહેલી સવારે બે ઇંચ ઉપરાંત વરસાદ પડતા પારપડા રોડ પર આવેલ રેલવેના નાળામાં પાણી ભરાઇ જતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે જોકે અહી સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં ના આવતા લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
પાલનપુરથી ભટામલ, ભૂતેડી,મોરીયા,દેલવાડા, આકેડી, બાદરપૂરા પારપડા સહિતના પંદરથી વીસ ગામોને જોડતા માર્ગ પર પાલનપુરના પારપડા રોડ પર રેલવેનું નાળું આવેલું છે, જેમાં વરસાદી પાણી ભરાઇ જવાને લઇ અહી મોટા ખાડા પડી ગયા છે જેમાં પાણી ભરાઇ રહેતું હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. જોકે તાજેતરમાં પડેલા વરસાદનું પાણી હજુ તો ઓસર્યું પણ ન હતું જ્યા શનિવારે વહેલી સવારે પડેલા બે ઇંચ વરસાદમાં અહી ફરી ઢીચણ સમુ પાણી ભરાઇ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે આ નાળામાં પાણીના ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે અને આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા ન આવતા સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી ઉચ્ચારી હતી.

