પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં એસટી બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારની પાછળની સીટમાંથી હિંમતનગરનાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે કારનું એન્જિન અને એસી ચાલુ હાલતમાં જ હતાં, જેથી બંનેએ નાસ્તા સાથે ઝેરી પદાર્થ ઘોળી આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે, જોકે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઇ ખુલાસો ન થતાં હાલ FSL સેમ્પલ સુરત મોકલવામાં આવ્યાં છે. આ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.
ઘટનાની જાણ થતાં જ પાવગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને અને તપાસ કરતાં કારનું એન્જિન અને AC પણ ચાલુ હાલતમાં જોવા મળ્યાં હતાં. પોલીસે એક્સપર્ટની મદદથી કારનો લોક ખોલતાં પાછળની સીટ પરથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહને કારમાંથી બહાર કાઢી હાલોલ સરકારી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે મોકલાવી દીધા હતા.
હિંમતનગર તાલુકાના આકોદરા ગામના અપરિણીત શ્રેયા કમલેશકુમાર પ્રજાપતિ અને આઝાદ મહેન્દ્રસિંહ રેહવર બન્ને 26 જૂનના રોજ સાંજે ઘરેથી નીકળી ગયા હતા. એ અંગે યુવતીના પિતાએ શ્રેયા ગુમ થઈ અંગેની હિંમતનગર એ ડિવિઝનમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી.
રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે; પંચમહાલ ગોધરા ડીવાયએસપી એ જણાવ્યું હતું કે પાવાગઢ બસ સ્ટેન્ડ સામે કારમાંથી હિંમતનગરનાં યુવક-યુવતીના મૃતદેહ મળ્યાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતાં ગાડીના દરવાજા બંધ જોવા મળ્યા હતા, પણ ગાડી ચાલુ હાલતમાં હતી. જેથી મિકેનિકને બોલાવી દરવાજો ખોલી જોતાં બંનેની લાશ મળી હતી. તેમના પરિવારને જાણ કરી પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી છે. એફએસલની મદદ સાથે મૃતદેહોનું પેનલ પીએમ કરાવી એફએસએલ ખાતે મોકલી આપ્યા છે. એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા બાદ બન્નેનાં મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.