![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/યુનિવર્સિટીના-પત્રકારત્વ-hed.jpg)
યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચાર વિભાગ દ્વારા ‘મતદાતા જાગૃતિ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચાર વિભાગ દ્વારા ‘મતદાતા જાગૃતિ અભિયાન’ અંતર્ગત ‘સહી સંકલ્પ’, મતદાતા જાગૃતિ રેલી તેમજ મતદાન કેમ જરૂરી છે તે વિષય પર તજજ્ઞ વક્તાઓ દ્વારા વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ ખાતે કુલપતિ પ્રો. કે.સી પોરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જેમ શિક્ષણ એ આપણો અધિકાર છે એમ મતદાન કરવું એ આપણાં અધિકારની સાથે નૈતિક ફરજ છે. ઉન્નત લોકશાહી રાષ્ટ્રના આધાર સ્તંભ યુવાનો છે અને માટે જ યુવાનોએ લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરી બીજાને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ.
આ પ્રસંગે મુખ્ય વક્તા પ્રેસ અકાદમી ગાંધીનગરના સચિવ પુલકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે લોકશાહીમાં એક મતનું મૂલ્ય અમૂલ્ય છે. લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી અને આ પર્વ ‘અવસર’માં ત્યારે પરિણમે જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક તેની બંધારણીય ફરજ સમજી મતદાન કરે.
આ પ્રસંગે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડૉ.એ.કે પટેલે વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે યોજેલ રેલી બદલ પ્લે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મતદાનને પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ ગણાવી હતી. કોઈપણ ચૂંટણી હોય પરંતુ એક સારા નાગરિક તરીકે મતદાન અવશ્ય કરવું જોઈએ એવુ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પત્રકારત્વ અને જન સંચાર વિભાગના પ્રાધ્યાપક ભરતભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને ચૂંટણી અને લોકશાહીના પર્વનું મૂલ્ય સમજાવ્યું હતું. લોકશાહીના જતન અર્થે પ્રત્યેક યુવાને સજાગ બની મતદાન કરવા અને કરાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ.
આ પ્રસંગે પર્યાવરણ પ્રેમી કિશોરસિંહ પઢીયાર પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પત્રકારત્વ વિભાગથી યુનિવર્સિટી કેમ્પસમાં ‘મતદાન મહાદાન’, ‘પહેલા મતદાન પછી જલપાન’, ‘મતનું મૂલ્ય અમૂલ્ય’, ‘મારી તાકાત, મારો મત’, ‘છોડો તમે બધા કામ પહેલા કરો મતદાન’, ‘મારો મત મારો અધિકાર’ સહિતના સ્લોગનો સાથે રેલી કાઢી મતદાતા જાગૃતિ અભિયાનને સફળ બનાવ્યું હતું.