![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/09-14.jpg)
પાટણમાં નશામૂકિત કેન્દ્રમાંથી પાછા ઘેર લવાયેલા પુત્રએ મા-બાપને મારમાર્યો
પાટણમાં એક નશાખોર યુવાનને ઠપકો આપતાં તેણે તેનાં માતા-પિતા ઉપર હુમલો કરીને માર મારતા ઇજા પહોંચી હતી. આ અંગેની વિગતો એવી છે કે, પાટણનાં પદ્મનાથ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી શક્તિકૃપા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા એક વ્યક્તિને નશો કરવાની આદત હોવાથી તેને નશામાંથી મુક્ત કરાવવા માટે તેનાં માતા-પિતાએ તેને ચાણસ્માનાં લણવા ખાતે આવેલા વ્યસનમૂક્તિ કેન્દ્રમાં મૂક્યો હતો. તેને આ કેન્દ્રમાં ત્રણ મહિના સુધી રાખીને સારવાર બાદ તેને પાટણનાં પોતાનાં ઘરે લાવ્યા હતાં. ત્યારબાદ 10 થી 15 દિવસ તે ઘરમાં શાંતિથી રહ્યો હતો. પરંતુ તે બે દિવસથી તેની પત્નિ અને બાળકો સાથે માથાકુટ કરતો હોવાથી અને ‘મને કેમ વ્યસન મૂક્તિ કેન્દ્રમાં મૂક્યો તેમ કહીને તેની પત્નિ સાથે માથાકુટ કરતો હોવાથી તેની માતા અને પિતાને જાણ થતાં તેઓ ચાણસ્માનાં ખારીધારીયાલ ગામે રહેતા હોવાથી તેઓ બંને ત્યાંથી શિવકૃપા સોસાયટી માં તેમનાં દિકરા રાજેશનાં ઘેર પાટણ ખાતે આવ્યા હતા અને તેમણે દિકરાને સમજાવ્યો હતો કે, ઘરમાં માથાકુટ ન કરીશ. પરંતુ રાજેશે તેનાં માતા-પિતાને જેમ ફાવે તેમ ગાળો બોલી હતી.અને એકદમ ઉશ્કેરાઇ જઇને માતાને આડેધડ ગડદાપાટુનો માર માર્યો હતો ને નીચે પાડી દીધા હતા. આથી રાજેશનાં પિતા તેમને છોડાવવા વચ્ચે પડતાં રાજેશે તેમને પણ પેટ અને કમરનાં ભાગે લાતો મારી ને ધોકાથી માર મારતાં મૂઢ માર વાગ્યો હતો. ઈજાગ્રસ્ત બંને માતા-પિતાને 108 માં પાટણની ધારપુર સિવિલમાં ખસેડાયા હતા. તેમને દવાખાને લઇ જવાતા હતા ત્યારે રાજેશે માતા- પિતાને ધમકી આપી હતી કે, બીજીવાર આ બાજુ આવતા નહિં તો જાનથી મારી નાંખીશ. આ બનાવ અંગે પોલીસે રાજેશ સામે તેની માતાએ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.