![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/01/safe_image-1-2-2-15.jpg)
પાટણમાં જવેલર્સની બે દુકાનના તાળા તૂટ્યા, લાખોની ચાંદી ચોરાઈ હોવાનું ચર્ચાસ્પદ
પાટણની બજારમાં આવેલી બે જ્વેલર્સની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે. ગઇકાલે મોડી રાતથી વહેલી પરોઢ સુધીના કોઇપણ સમયે તસ્કરોએ શહેરની બે દુકાનોમાં લાખોની ચોરી કરતાં સ્થાનિક વેપારીઓ ફફડી ઉઠ્યા છે.
પ્રાથમિક વિગતો અનુસાર ચોરોએ શટર તોડીને ચોરીને અંજામ આપ્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.પણ હજી સુધી ચોરીનો ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી. સ્થાનિક ચર્ચાઓ મુજબ તસ્કરો લાખો રૂપિયાની ચાંદી ચોરી ગયા છે. જેને લઇ જ્વેલર્સના માલિકોએ ફરીયાદ નોંધાવવા કવાયત શરૂ કરી છે.
પાટણ શહેરના હિંગળાચાચર બજારમાં આવેલ બે જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટનાથી હડકંપ મચી ગયો છે. અજાણ્યાં તસ્કરોએ યમુના જ્વેલર્સ અને તિરૂપતિ જ્વેલર્સ નામની બે દુકાનોને નિશાન બનાવી હતી. જોકે આજે વહેલી સવારે શટર તુટેલી હાલતમાં જોતાં ચોરી થયાનું સામે આવ્યુ હતું. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના વેપારી એકઠા થઇ ગયા હતા.
આ તરફ જ્વેલર્સની દુકાનમાંથી લાખો રૂપિયાની ચાંદી ચોરાઇ હોવાનું હાલ ચર્ચાઇ રહ્યુ છે. જોકે પોલીસ ફરીયાદ નોંધાવવાની કવાયત ચાલુ હોઇ હજી સુધી ચોરીનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. ઘટનાને લઇ એ ડીવીજન પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.